ધનુષ સાથે લગ્નની અફવાઓ પર મૃણાલ ઠાકુરનો મજેદાર જવાબ
મૃણાલ ઠાકુર
મૃણાલ ઠાકુરે હાલમાં ધનુષ સાથે પોતાનાં લગ્નની અફવાઓ પર ફરી પ્રતિક્રિયા આપી છે. મૃણાલ અને ધનુષ વૅલેન્ટાઇન્સ ડેના દિવસે ગુપ્ત રીતે લગ્ન કરશે એવી ચર્ચાઓ સોશ્યલ મીડિયા પર જોરશોરથી ચાલી રહી હતી. હવે આ તારીખ પસાર થઈ ગઈ છે અને મૃણાલે સ્પષ્ટ કરી દીધું છે કે તે હજી પણ સિંગલ છે.
એક ઇન્ટરવ્યુમાં મૃણાલે આ ચર્ચા વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘આ આખી બાબત મને પરેશાન કરતી નથી. મીડિયા-રિપોર્ટ મુજબ તો મારાં લગ્ન થઈ ગયાં છે. જોકે મને આખી વાતમાં સમજાયું છે કે હું ૩ કરોડ, ૬ કરોડ કે ૧૦ કરોડ રૂપિયા ખર્ચું તો પણ મને જેવી પબ્લિસિટી ન મળે એવી પબ્લિસિટી અફવાને કારણે ફ્રીમાં મળી ગઈ છે. આ કારણોસર જે લોકો આવી ખોટી અફવાઓ ફેલાવે છે તેમનો ખૂબ આભાર.’
ADVERTISEMENT
પોતાની પર્સનલ લાઇફ વિશે વાત કરતાં મૃણાલે કહ્યું હતું કે ‘હું ખૂબ ઓપન વ્યક્તિ છું. મારી જિંદગીમાં કંઈ પણ થશે તો હું પોતે બધાને જણાવીશ. હું ગુસ્સો કરતી નથી, હસીને વાત સ્વીકારી લઉં છું. જો હું મારી ઊર્જા આવી અફવાઓ પર ખર્ચીશ તો મારી કરીઅરમાં ફોકસ નહીં કરી શકું. હું હાલ કૅમેરા સાથે રોમૅન્સ કરી રહી છું અને મારો એક જ પાર્ટનર કૅમેરા છે.’


