નાનપણથી તેમને ફોટોગ્રાફીનો શોખ હતો. શોખ ખાતર પાડેલા ફોટોગ્રાફ્સનાં લોકો વખાણ કરતા. આ શોખને કારણે જ કલકત્તામાં પ્રોથોમેશ ગુપ્તાને ત્યાં તેમને સ્ટિલ ફોટોગ્રાફર તરીકે કામ મળ્યું.
બિમલ રૉય
The truth is that film making is not really an actor’s medium. It’s really a director’s medium.
- George Williamson
ADVERTISEMENT
એક ફિલ્મની સફળતા માટે મોટે ભાગે આપણે કલાકારોને શ્રેય આપતા હોઈએ છીએ. હકીકત એ છે કે કલાકાર કરતાં એક કાબેલ ડિરેક્ટર જ ફિલ્મના માધ્યમને અસરકારક રીતે રજૂ કરી શકે. એટલે જ ડિરેક્ટરને ફિલ્મનો કૅપ્ટન કહેવામાં આવે છે. પ્રકાશ મેહરા જેવા કમર્શિયલી સફળ પ્રોડ્યુસર-ડિરેક્ટરની વાત કરતા હતા ત્યારે બે ફિલ્મમેકર્સનો ઉલ્લેખ કર્યો હતો જેમના માટે ફિલ્મમેકિંગ પ્રોફેશન નહીં પણ પૅશન હતું. એક હતા બિમલ રૉય અને બીજા હતા ગુરુ દત્ત.
બિમલ રૉયનાં પુત્રી રિન્કી ભટ્ટાચાર્યે (પ્રોડ્યુસર-ડિરેક્ટર બાસુ ભટ્ટાચાર્યનાં પત્ની) ભૂતકાળમાં પિતાની યાદમાં સંગીતના અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેમાં બિમલ રૉય પ્રોડક્શનના જૂના કલાકાર કસબીઓનું સન્માન કરવામાં આવતું. એ દિવસોમાં મારી મુલાકાત તેમની સાથે થતી હતી. એ દરમ્યાન બિમલ રૉય વિશેની અનેક ઓછી જાણીતી માહિતીઓ જાણવા મળી. આજે એ સ્મરણો તમારી સાથે શૅર કરું છું.
બિમલ રૉયનો જન્મ ૧૯૦૯ની ૧૨ જુલાઈએ ઢાકા નજીક આવેલા સોપોર ગામમાં થયો. જમીનદાર પિતાનું અવસાન થતાં એસ્ટેટ મૅનેજરે કાવાદાવાથી સઘળો કારોબાર પોતાના હાથમાં લઈ લીધો. આ કારણે નિઃસહાય અવસ્થામાં નાની વયે બિમલ રૉય મમ્મી સાથે કલકત્તા આવ્યા.
નાનપણથી તેમને ફોટોગ્રાફીનો શોખ હતો. શોખ ખાતર પાડેલા ફોટોગ્રાફ્સનાં લોકો વખાણ કરતા. આ શોખને કારણે જ કલકત્તામાં પ્રોથોમેશ ગુપ્તાને ત્યાં તેમને સ્ટિલ ફોટોગ્રાફર તરીકે કામ મળ્યું. જ્યારે તમારો શોખ આજીવિકાનું સાધન બને ત્યારે અલગ જ વાત બને છે. મનગમતું કામ હાથમાં આવ્યું એટલે તેમણે પૂરી લગનથી મહેનત કરીને પોતાનું નામ કર્યું. પરિણામે ન્યુ થિયેટર્સમાં નીતિન બોઝ પાસે અસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે તેમની કારકિર્દીની શરૂઆત થઈ. સ્વતંત્ર કૅમેરામૅન તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી કે. એલ. સૈગલની ‘દેવદાસ’. (૧૯૩૫)
એક કૅમેરામૅન તરીકે તેમની સૂઝબૂઝ એટલી હતી કે ડિરેક્ટર્સ તેમનાં સૂચન માનતા. એમ કહેવાય છે કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે. સારો કૅમેરામૅન પોતાની કાબેલિયતથી ડિરેક્ટરનું કામ આસાન કરી નાખે છે. એમાં પણ જો એક કલ્પનાશીલ ફોટોગ્રાફર ડિરેક્ટર બને ત્યારે સોનામાં સુગંધ ભળે. કૅમેરા પાછળ કામ કરતા બિમલ રૉય એક દિવસ ડિરેક્ટર બન્યા. ડિરેક્ટર તરીકે તેમની પહેલી બંગાળી ફિલ્મ હતી ‘ઉદયેર પાથે’ (૧૯૩૫) જેના તે કૅમેરામૅન પણ હતા. થોડી બંગાળી ફિલ્મો ડિરેક્ટ કર્યા બાદ ડિરેક્ટર તરીકે તેમની પ્રથમ હિન્દી ફિલ્મ હતી ‘હમરાહી’ (૧૯૪૯). ત્યાર બાદ ‘અંજન ગઢ’, ‘પહલા આદમી’ અને ખાસ કરીને ‘મા’ ફિલ્મમાં તેમના ડિરેક્શનનાં ખૂબ વખાણ થયાં.
હૃષીકેશ મુખરજી એક ઇન્ટરવ્યુમાં પોતાના ગુરુ બિમલ રૉયને યાદ કરતાં કહે છે, ‘ અમે સૌ બસમાં મુંબઈથી મલાડ પાછા ફરતા હતા. એ રાતે અમે બૉમ્બે ટૉકીઝના યુનિટ મેમ્બરો (પગારદાર નોકરો) ઇરોઝ થિએટરમાં અકિરા કુરોસાવા (જૅપનીઝ ડિરેક્ટરની ક્રાઇમ થ્રિલર ફિલ્મ) ‘રશોમોન’ જોવા ગયા હતા. આવી અદ્ભુત ફિલ્મ જોઈ અમે સૌ વિચારોમાં ખોવાયેલા હતા. આ ફિલ્મે અમારા પર બહુ ઊંડી છાપ છોડી હતી.’
શાંત બેઠેલા બિમલદાને મેં પ્રશ્ન કર્યો, ‘આપણે ત્યાં આવી ફિલ્મો કેમ બનતી નથી?’
તે વિચારમાં પડી ગયા. થોડી ક્ષણ પછી મને કહે, ‘આવી ફિલ્મો લખશે કોણ?’
‘એમાં શું? હું લખીશ.’ મેં ફટ દઈને જવાબ આપ્યો. અમે સૌ કૈંક નવું કરવાના જોશમાં હતા. એ જ સમયે નક્કી કર્યું કે આપણે સૌ ભેગા થઈને એક પ્રોડક્શન કંપની શરૂ કરીએ જેમાં દરેક સરખે ભાગે હિસ્સેદાર હોય. આમ બેસ્ટની બસમાં બિમલ રૉય પ્રોડક્શનની શરૂઆત થઈ.’
૧૯૫૨માં બિમલ રૉય પ્રોડક્શનની સ્થાપના થઈ. મોટા ભાગની ફિલ્મો તેમણે જ ડિરેક્ટ કરી. પહેલી ફિલ્મ હતી ‘દો બીઘા ઝમીન’, ત્યાર બાદ ‘નૌકરી’, ‘દેવદાસ’, ‘અમાનત’, (ડિરેક્ટર અરવિંદ સેન) ‘મધુમતી’, ‘સુજાતા’, ‘બંદિની’, ‘પરખ’, ‘ઉસને કહા થા’, ( ડિરેક્ટર સોની ભટ્ટાચાર્ય) ‘પ્રેમપત્ર’, ‘કાબુલીવાલા’ (ડિરેક્ટર હેમેન ગુપ્તા), ‘બેનઝીર’ (ડિરેક્ટર એસ. ખલીલ), ‘દો દુની ચાર’, ‘અપરાધી કૌન?’, ‘પરિવાર’ અને ‘ચૈતાલી’ (જે તેમના મૃત્યુ બાદ હૃષીકેશ મુખરજીએ પૂરી કરી) ફિલ્મોનું નિર્માણ કર્યું.
એમ કહેવાય છે કે કવિની સાચી ઓળખ તેની કવિતા પરથી મળે. કવિતા કવિનો એક્સરે છે જે કવિના વ્યક્તિત્વનો અણસાર આપે છે. કલાકારનો પિંડ તેની કૃતિઓમાં ડોકાયા કરતો હોય છે. એ જ હિસાબે બિમલ રૉયના સર્જનાત્મક વ્યક્તિત્વનો અસલી પરિચય તેમની ફિલ્મોની યાદી પરથી મળે છે.
એક વાતનો તેમણે દૃઢ સંકલ્પ કર્યો હતો. ‘મારે ચીલાચાલુ ફિલ્મો નથી બનાવવી.’ કશુંક નવું નવી રીતે રજૂ કરી મનોરંજનના માધ્યમ દ્વારા મેસેજ આપવાની તેમની પરિકલ્પના દરેક વખતે સફળ ન થઈ. એમ છતાં તેમણે સમાધાન કર્યા વિના પ્રયત્નો કરવાનું છોડ્યું નહીં. શોષિત અને પીડિત સમાજનું દારુણ ચિત્ર રજૂ કરતી પ્રથમ ફિલ્મ ‘દો બીઘા ઝમીન’થી (૧૯૫૩) જ તેમણે પોતાની આગવી શૈલીનો અંદાજ પ્રેક્ષકોને આપી દીધો.
સંગીતકાર સલિલ ચૌધરીની લઘુકથા પરથી બનેલી આ ફિલ્મના કલાકાર હતા બલરાજ સાહની અને નિરુપા રૉય. ફિલ્મ એટલી વાસ્તવિક લાગતી હતી કે શૂટિંગ સમયે હાથરિક્ષા ખેંચતા બલરાજ સહાની થાકીને ઠૂસ થઈ ગયા હોય છે ત્યારે નિરુપા રૉય તેને સાંત્વન આપતાં બેઠાં હોય છે. એ જોઈ તેમની દયા ખાઈને કોઈએ તેમના હાથમાં બે આના (એ સમયનું ચલણ) મૂક્યા હતા.
વાસ્તવિકતાના આગ્રહી બિમલ રૉય બલરાજ સાહની પાસે સાચેસાચ રિક્ષા ખેંચાવતા. ગરીબ ખેડૂત કુટુંબના પહેરવાનાં કપડાં તેમણે ચોરબજારમાંથી ખરીદ્યાં હતાં. ગરીબ ખેડૂતોની ધોતીને મેલીઘેલી બનાવવા તેમણે એક પ્રયોગ કર્યો. ધોતીને આખી રાત ચાના પાણીમાં ડુબાડીને સવારે સૂકવવામાં આવતી. સૂર્યના તડકામાં સુકાઈને પીળાશ પડતા રંગની ધોતીઓ જ્યારે કલાકારો પહેરતા ત્યારે બ્લૅક ઍન્ડ વાઇટ ફિલ્મમાં એ સાચેસાચ મેલીઘેલી લાગતી. જમીનદારોની સફેદ દૂધ જેવી ધોતીઓ સામે ખેડૂતોની ધોતી આ રીતે જરીપુરાણી લાગતી એટલું જ નહીં, બન્ને મુખ્ય કલાકારોને ભાગ્યે જ કોઈ મેકઅપ કરવામાં આવતો.
પ્રીમિયર શોમાં હાજર રહેલા રાજ કપૂરે ફિલ્મ જોઈ અને તેમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેમણે ભાવવિભોર થઈને બિમલ રૉયને કહ્યું, ‘કાશ, આ ફિલ્મ મેં બનાવી હોત.’ પ્રથમ ફિલ્મથી જ બિમલ રૉયની સરાહના થઈ. ફિલ્મને કાન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ મળ્યો હતો.
બિમલ રૉયને ‘દેવદાસ’ની વાર્તા પ્રત્યે અજીબ લગાવ હતો. ૧૯૩૫માં ફિલ્મના કૅમેરામૅન તરીકેના દિવસો તે ભૂલ્યા નહોતા. તેમને મનમાં થયું હશે કે ફિલ્મના ડિરેક્ટર પી. સી. બરુઆ કરતાં હું કથાને વધુ સારી રીતે ન્યાય આપી શકીશ. કોઈ પણ સફળ ફિલ્મની રીમેક બનાવવામાં એક જોખમ રહેલું હોય છે એ જાણતા હોવા છતાં તેમણે એ રસ્તે આગળ જવાનું નક્કી કર્યું. કે. એલ. સૈગલની ‘દેવદાસ’ એક અમર કૃતિ હતી એટલે સ્વાભાવિક છે એની સાથે નવી ફિલ્મની સરખામણી થવાની જ હતી. તેમ છતાં બિમલ રૉયે દિલીપકુમાર, સુચિત્રા સેન અને વૈજયંતીમાલાને લઈ આ ફિલ્મ બનાવી. શરૂઆતમાં દિલીપકુમાર આ ફિલ્મ માટે રાજી નહોતા પરંતુ બિમલ રૉયે તેમને મનાવી લીધા.
એક ઇન્ટરવ્યુમાં બી. આર. ચોપડા કહે છે, ‘‘દેવદાસ’ના પ્રીમિયરમાં હું અને દિલીપકુમાર સાથે બેઠા હતા. ફિલ્મમાં પ્રેક્ષકોનો નબળો પ્રતિસાદ જોઈ દિલીપકુમાર ખૂબ નિરાશ થયા. મને કહે, ‘મને એવું લાગે છે કે મેં ફિલ્મ સ્વીકારીને મોટી ભૂલ કરી.’ મેં કહ્યું, ‘જ્યારે કે. એલ. સૈગલની ‘દેવદાસ’ રિલીઝ થઈ ત્યારે જે ઑડિયન્સ હતું એ આજે નથી. રીમેક બનાવતી વખતે આ હકીકત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.’ જોકે આ ફિલ્મ માટે દિલીપકુમારને ફિલ્મફૅર અવૉર્ડ પણ મળ્યો હતો.
બૉક્સ-ઑફિસ પર ફિલ્મને નબળો પ્રતિસાદ મળ્યો. સચિન દેવ બર્મનનું સંગીત લોકપ્રિય થયું એ ફિલ્મનું જમા પાસું હતું. ફિલ્મ માટે વૈજયંતીમાલાને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ અવૉર્ડ મળ્યો પરંતુ તેણે એ ન સ્વીકાર્યો. કારણ આપ્યું કે મારો અને સુચિત્રા સેનનો રોલ પૅરૅલલ છે. હું પણ ફિલ્મની એક હિરોઇન છું.’
બિમલ રૉય પ્રોડક્શનની બાકીની ફિલ્મો અને પડદા પાછળની રોચક ઘટનાઓની વાત આવતા રવિવારે.

