માનસી કહે છે, ‘મને એકસરખું કામ કરવું જ નથી. મને સારા-સારા વિષયો લાવવા છે. મને જે કરી ચૂકી છું એનાથી ઘણું અલગ કરવું છે
ઍક્ટર-પ્રોડ્યુસર માનસી પારેખ અને શુભચિંતકની ટીમ
ઍક્ટર-પ્રોડ્યુસર માનસી પારેખને કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ મળ્યો એ પછી હવે તેની નવી ગુજરાતી ફિલ્મ શુભચિંતક આવી છે. નૅશનલ અવૉર્ડ મળ્યા પછી આવેલી ફિલ્મ પાસેથી લોકોને ખૂબ અપેક્ષાઓ હોય એ સ્વાભાવિક છે. મિડ-ડે સાથેની વાતચીતમાં માનસી કહે છે કે અમારું ધ્યેય એ હોય છે કે દર્શકોને ફિલ્મમાં ખૂબ મજા આવે અને સાથે તેમને કોઈ મેસેજ પણ મળે
‘કચ્છ એક્સપ્રેસ’ ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડ જીત્યા પછી માનસી પારેખની નવી ફિલ્મ ‘શુભચિંતક’ ગયા શુક્રવારે રિલીઝ થઈ છે. જાણીતા સિંગર પાર્થિવ ગોહિલ અને માનસી પારેખના પ્રોડક્શન-હાઉસ સોલ સૂત્રના બૅનર હેઠળ બનેલી ‘ગોળકેરી’, ‘કચ્છ એક્સપ્રેસ’, ‘ઝમકુડી’ પછીની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે. હંમેશાં કંઈક નવું અને રસપ્રદ કરવા માટે જાણીતી અને પોતાના અભિનયનું કૌવત વારંવાર પુરવાર કરી ચૂકેલી માનસી પાસેથી આ થ્રિલર ડ્રામા ફિલ્મમાં કામ કરવાનો અનુભવ જાણીએ.
ADVERTISEMENT
‘શુભચિંતક’ની શરૂઆત થઈ કઈ રીતે? આ પ્રશ્નનો જવાબ આપતાં માનસી કહે છે, ‘લેખક કપિલ સાહેત્યએ મને તેમની લખેલી વાર્તા ટૂંકમાં કહી કે એક છોકરી પોતાના બે સાગરીત સાથે એક જણ પ્રત્યે બદલો લેવા તેને પ્રેમજાળમાં ફસાવે છે અને પછી રમૂજી અને નૈતિક પડકારો ઊભા થાય છે. મને ફક્ત આ સાંભળીને જ ખૂબ રસપ્રદ લાગ્યું. પછી તો આખી સ્ટોરી ખૂબ ગમી. એને વિરાફ પટેલ અને ચેતન દૈયાએ પછી ડેવલપ કરી. સ્ક્રિપ્ટ આખી બનતાં એક વર્ષ નીકળી ગયું જેમાં દીપ વૈદ્ય, જે આ ફિલ્મમાં ઍક્ટિંગ પણ કરી રહ્યા છે, તેમણે પણ અમને મદદ કરી હતી.’
આ ફિલ્મનું સિલેક્શન તો ‘ઝમકુડી’ બનતી હતી ત્યારે જ થઈ ગયેલું. એટલે કે નૅશનલ અવૉર્ડ માનસીને ત્યાં સુધી મળ્યો નહોતો. નૅશનલ અવૉર્ડ પછીની તરતની ફિલ્મથી લોકો તમારી પાસેથી ખૂબ અપેક્ષા રાખશે એ વાતનો ડર ખરો? એ વાતનો જવાબ આપતાં માનસી કહે છે, ‘લોકોની તો હશે જ પરંતુ મારી ખુદની મારાથી ઘણી અપેક્ષાઓ છે. ઘણા લોકોને લાગે છે કે એક વખત નૅશનલ અવૉર્ડ મળ્યો એટલે હવે એને ધ્યાનમાં રાખીને જ કામ થશે, પણ એવું નથી. અવૉર્ડ મળવાનો અમને ઘણો ઉલ્લાસ છે પણ કોઈ પણ સાચો કલાકાર અવૉર્ડ માટે કામ કરતો નથી. મને કળા માટે ભારોભાર પ્રેમ છે, મને સારી વાર્તાઓ લોકો સુધી પહોંચાડવી છે એટલે હું કામ કરી રહી છું.’
પોતાના પ્રોડક્શન-હાઉસમાં કયા વિષય પર ફિલ્મ બનશે એનું સંપૂર્ણ ક્રીએટિવ કામ માનસી જુએ છે. જુદા-જુદા વિષયની પસંદગી વિશે વાત કરતાં માનસી કહે છે, ‘મને એકસરખું કામ કરવું જ નથી. મને સારા-સારા વિષયો લાવવા છે. મને જે કરી ચૂકી છું એનાથી ઘણું અલગ કરવું છે. એ પ્રયત્ન સતત રહે છે. જીવનનું મુખ્ય ધ્યેય જ એ છે કે સતત કંઈક અલગ કરતા રહેવું છે. એ માટે કોશિશ કરતા રહીએ છીએ. ઍક્ટર તરીકે તમારી દૃષ્ટિ જુદી હોય, પણ પ્રોડ્યુસર તરીકે તમે એ પણ વિચારો જ છો કે આ સ્ટોરી ચાલશે કે નહીં, કારણ કે બજેટ-ફૅક્ટર પણ જોવાનું હોય છે. એટલે જ અમે પહેલી ફિલ્મ ‘ગોળકેરી’ મરાઠી ફિલ્મ ‘મુરબ્બા’ની રીમેક બનાવેલી, કારણ કે અમે અમને એ સેફ લાગેલું. હવે થોડા પ્રયોગો કરવાની હિંમત આવી ગઈ છે.’
તો શું ભવિષ્યમાં તમે હિન્દી ફિલ્મો પણ બનાવશો? આ પ્રશ્નનો જવાબ આપતાં માનસી કહે છે, ‘હિન્દી ફિલ્મો બનાવવા માટેનો દરવાજો સમજીને અમે ગુજરાતી ફિલ્મો નથી બનાવતા. ગુજરાતની સંસ્કૃતિ સાથે અમે જોડાયેલા છીએ. આપણી ભાષા માટે અમને ભારોભાર માન છે. જો આ ભાષામાં અમારા લોકો માટે અમે કશુંક પીરસી શકીએ તો એનાથી સારું શું એમ સમજીને અમે કામ કરીએ છીએ. મારી દીકરી નિરવી, જે ટેલર સ્વિફ્ટ કે દુઆ લિપાનાં ગીતો ગાય છે એની સાથે-સાથે તેને ગુજરાતી ગીતો પણ એટલે જ ગમે છે અને તે દિલથી ગાય છે.’
સ્ક્રિપ્ટની પસંદગી વખતે શું ધ્યાન રાખે છે એ જણાવતાં માનસી કહે છે, ‘અમે માનીએ છીએ કે પ્રેક્ષક અમારી પાસે મનોરંજનની ઘણી વધુ અપેક્ષાએ જ આવે છે એટલે એવી ફિલ્મ તો હોવી જ જોઈએ જેમાં ભરપૂર મજા હોય. પણ સાથે-સાથે જ્યારે અમારો પ્રેક્ષક ઘરે જાય તો સાથે કોઈ મેસેજ લઈને જાય એ વાત પર હું ભાર આપું છું. મારી દરેક ફિલ્મમાં કોઈ વાત કે કોઈ મેસેજ તો હશે જ એ નક્કી વાત છે.’
‘શુભચિંતક’નું શૂટિંગ સુરત અને વલસાડનાં ૧૭ અલગ-અલગ લોકેશન પર ૨૪ દિવસમાં પૂરું થયું હતું. જાણીતા મરાઠી ઍક્ટર સ્વપ્નિલ જોશીની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. તેમના સિવાય વિરાફ પટેલ, મેહુલ બુચ, દીપ વૈદ્ય, તુશારિકા રાજ્યગુરુ આ ફિલ્મના કલાકારો છે. ‘હરિ ઓમ હરિ’ ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મોમાં ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનાર નિસર્ગ વૈદ્યે આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. પાર્થિવ અને માનસી સાથે ધવલ ઠક્કરે ફિલ્મ કો-પ્રોડ્યુસ કરી છે.
ગુજરાતી તરીકે પૈસા બચાવતાં આવડે છે : પાર્થિવ ગોહિલ
ગુજરાતી ફિલ્મોનું બજેટ એકદમ ટાઇટ હોય છે ત્યારે એક સસ્પેન્સ થ્રિલર મૂવીના પ્રોડ્યુસર બનવાનું સહેલું તો નથી. એ વાત સાથે સહમત થતાં આ ફિલ્મના પ્રોડ્યુસર અને વિખ્યાત સિંગર પાર્થિવ ગોહિલ કહે છે, ‘આ ફિલ્મ પાંચ કરોડથી પણ ઓછા બજેટમાં બની છે. જ્યારે અમે બૉલીવુડનાં જાણીતાં ડિરેક્ટર-કોરિયોગ્રાફર ફારાહ ખાનને આ ટ્રેલર બતાવ્યું ત્યારે તેમણે કહ્યું કે આટલા ઓછા બજેટમાં આવું રિઝલ્ટ કેવી રીતે કરી શક્યા તમે? તેઓ ખૂબ અચરજ પામ્યાં હતાં, પણ સાચું કહું તો હું ગુજરાતી છું, પૈસા બચાવતાં મને આવડે છે. લિમિટેડ બજેટમાં પણ બેસ્ટ કઈ રીતે કામ થઈ શકે એ ગુજરાતી લોહીને શીખવવું ન પડે.’
વૉટ નેક્સ્ટ?
માનસી પારેખની ઑગસ્ટ મહિનામાં શ્રદ્ધા ડાંગર સાથે ‘મહારાણી’ નામની ફિલ્મ આવી રહી છે, જે બે હિરોઇનની ફિલ્મ છે.

