રિપોર્ટ છે કે બન્ને વચ્ચે બાળકોની કસ્ટડી વિશે સહમતી સધાઈ ગઈ છે જેના પછી બન્નેએ પરસ્પર સમજૂતી હેઠળ અલગ થવાનો નિર્ણય લીધો છે
જય ભાનુશાલી અને માહી વિજ
ટીવી-ઍક્ટર્સ જય ભાનુશાલી અને માહી વિજ લગ્નનાં ૧૪ વર્ષ પછી ડિવૉર્સ લઈ રહ્યાં હોવાના રિપોર્ટ છે. જય અને માહીએ ૨૦૧૧માં લગ્ન કર્યાં હતાં અને મળતી માહિતી પ્રમાણે તેમણે થોડા મહિનાઓ પહેલાં ડિવૉર્સની અરજી કરી હતી અને જુલાઈ-ઑગસ્ટના સમયગાળામાં તેઓ કાયમ માટે અલગ થઈ ગયાં છે. છેલ્લી વખત જય અને માહી ૨૦૨૪ના ઑગસ્ટમાં તેમની દીકરી તારાના જન્મદિવસ પર સાથે જોવા મળ્યાં હતાં અને પછી બન્નેના રસ્તા અલગ-અલગ થતા ગયા. આ પછી બન્ને જાહેરમાં સાથે દેખાયાં નથી.
જય અને માહીને ત્રણ બાળકો છે. તેમણે ૨૦૧૭માં તેમની હાઉસ-હેલ્પરનાં બાળકો રાજવીર અને ખુશીને અડૉપ્ટ કર્યાં હતાં અને ૨૦૧૯માં તેમની દીકરી તારાનો IVFની મદદથી જન્મ થયો હતો. મીડિયા રિપોર્ટ પ્રમાણે જય અને માહી ઘણા સમયથી એકબીજાથી અલગ રહેતાં હતાં અને તેમણે પોતાના સંબંધને સાચવવાનો બહુ પ્રયાસ કર્યો પણ એ શક્ય ન બન્યું. આ સંજોગોમાં બન્ને વચ્ચે બાળકોની કસ્ટડી વિશે સહમતી સધાઈ ગઈ છે. ડિવૉર્સ વખતે જય અને માહીએ પરસ્પર સમજૂતી હેઠળ અલગ થવાનો નિર્ણય લીધો છે જેથી બાળકોના જીવન પર આ વાતની નકારાત્મક અસર ન પડે.


