શોના નિર્માતાઓએ હજુ સુધી તેની ગેરહાજરી વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી
અમર ઉપાધ્યાય
એક સમયની ટોચની સિરિયલ ‘ક્યોંકિ... સાસ ભી કભી બહૂ થી 2’ છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી એક ખાસ કારણોસર ચર્ચામાં છે. શોમાં મિહિર વીરાણીનું પાત્ર ભજવનાર ઍક્ટર અમર ઉપાધ્યાય લાંબા સમયથી જોવા મળ્યો નથી જેના કારણે દર્શકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. શોના નિર્માતાઓએ હજુ સુધી તેની ગેરહાજરી વિશે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરી નથી, પણ ચાહકો સતત તેના પુનરાગમનની રાહ જોઈ રહ્યા છે.
ખાસ વાત તો એ છે કે હાલમાં આ શોની લોકપ્રિયતા સતત ઘટી રહી છે અને એ રેટિંગમાં નીચે જઈ રહ્યો છે. આ સંજોગોમાં અમર ઉપાધ્યાયના ફૅન્સ માને છે કે મિહિરની ગેરહાજરીની સીધી અસર શોની લોકપ્રિયતા પર પડી છે. જોકે તાજેતરના એપિસોડ્સમાં તુલસી વીરાણીનું પાત્ર ભજવતી સ્મૃતિ ઈરાની માત્ર વિડિયો-કૉલ દ્વારા જ મિહિર સાથે વાત કરતી જોવા મળી છે અને આના કારણે ચર્ચા છે કે ટૂંક સમયમાં મિહિરનું શોમાં કમબૅક થઈ શકે છે. ઘણા ચાહકોનું માનવું છે કે તુલસી અને મિહિરની જોડી શોની ઓળખ રહી છે અને તેમના વગર સ્ટોરીમાં પહેલાં જેવું ભાવનાત્મક જોડાણ અનુભવાતું નથી.
