કિન્નોર-સ્પીતિની એક ચોટી પર આવેલા વિશ્વના હાઇએસ્ટ કૃષ્ણ મંદિરનું પણ એવું જ છે. યુલા કાંડાના પહાડ પરના દેવાલયમાં બિરાજમાન માધવરાય જ નક્કી કરે છે કે મારે મંદિરિયે કોણ આવશે
સમુદ્રની સપાટીથી ૩૮૯૫ મીટર ઊંચે આવેલું કૃષ્ણ મંદિર.
આમ તો કયા તીર્થની જાત્રાએ જવું એ મોટા ભાગે યાત્રાળુઓ જ નક્કી કરે છે, પરંતુ અમુક તીરથ એવાં હોય જે નક્કી કરે કે કયા ભક્તોને મારી યાત્રાએ બોલાવવા છે. કિન્નોર-સ્પીતિની એક ચોટી પર આવેલા વિશ્વના હાઇએસ્ટ કૃષ્ણ મંદિરનું પણ એવું જ છે. યુલા કાંડાના પહાડ પરના દેવાલયમાં બિરાજમાન માધવરાય જ નક્કી કરે છે કે મારે મંદિરિયે કોણ આવશે
મુંબઈમાં મેઘરાજાએ ઑફિશ્યલ એન્ટ્રી કરી લીધી છે, પરંતુ તાપમાન એવો તોબરો ચડાવીને બેઠું છે કે છૂટાંછવાયાં વરસાદી ઝાપટાંઓ પારાને રીઝવી શકતાં નથી. એ તો બસ મોં ફુલાવીને ઉપર જ બેઠું છે. એમાં વળી હ્યુમિડિટી એને સાથ આપે છે. એ બેઉએ ગઠબંધન કરીને મુંબઈગરાને ત્રસ્ત કરી નાખ્યા છે. આવા વાતાવરણમાં મહાનગરના દરેક માનવને મન થાય કે કોઈ એવા પ્રદેશમાં ચાલ્યા જઈએ જ્યાં પવનની ઠંડી લહેરખીઓ તન-મનને વીંટળાઈ જાય અને પહાડોનું શુદ્ધ વાતાવરણ ફેફસાંને ઑક્સિજનથી ભરી દે.
ADVERTISEMENT
વેલ, આપણા દેશમાં ટાઢક આપતાં ઘણાં સ્થાનો છે. ઉત્તરે આવેલા હિમાલયના વિશાળ પર્વતીય વિસ્તારમાં અત્યારે કૂણી-કૂણી ગુલાબી ઠંડી છે. વળી સોળે કળાએ નિખરી ઊઠેલી હરિયાળી પણ છે જે તન-મનને તરોતાજા કરી દે છે. જોકે તન-મનને તરબતર કરી નાખતા આ વાતાવરણ સાથે જો ઈશ્વરનીયે ઝાંખી થાય, વળી હજારો વર્ષો પૂર્વે જ્યાં ઈશ્વરે ખુદ પગલાં પાડ્યાં હોય એવા સ્થાને જવું હોય તો ગો ટુ યુલા કાંડા. ત્યાં ૩૮૯૫ મીટરની ઊંચાઈએ બ્રિજનો દુલારો બાંહો ફેલાવીને ઊભો છે.
દેવભૂમિ કહેવાતા ભારતના ઉત્તરીય રાજ્ય હિમાચલ પ્રદેશમાં અનેક ધાર્મિક જગ્યાઓ છે. એમાં શિમલાનું જખ્ખુ મંદિર, કાંગડાનું બૈજનાથ, કુલુના બિજલી મહાદેવ સાથે ચિત્તપૂર્ણી મા જ્વાલામુખીમાતા, ચામુંડાદેવીની શક્તિપીઠો તો બહુ પૉપ્યુલર પણ છે. જોકે યુલા કાંડા જ્યાં દુનિયાનું સૌથી ઊંચું કૃષ્ણ મંદિર છે એના વિશે બહુ શ્રદ્ધાળુઓને ખ્યાલ નથી. વળી એમ પણ કહેવાય છે કે પાંડવો અને શ્રીકૃષ્ણ અહીં લાંબો સમય રોકાયા હતા અને સાધના કરી હતી. છતાંય યુલા કાંડા વિશે કૃષ્ણભક્તોને વધારે માહિતી નથી. એવું કેમ? એના જવાબમાં અહીંના ટ્રેક્સ આયોજિત કરતા ઑર્ગેનાઇઝર ‘મિડ-ડે’ને કહે છે, ‘આ મંદિર વિશે લોકો વધુ જાણતા નથી કારણ કે મંદિરે પહોંચવા ૧૨ કિલોમાટરની પર્વતીય ચઢાઈ કરવાની છે. વળી આ રસ્તામાં પાલખીઓ કે રોપવે નથી. અરે, તારાંકિત તો છોડો, સાદું ગેસ્ટહાઉસ કે ધર્મશાળા પણ નથી એટલે આ સ્થાન ધર્મક્ષેત્ર તરીકે પ્રખ્યાત નથી. બાકાયદા જેને ટ્રેકિંગ કરવું છે તેઓ અહીં આવે છે કે સાધુસંતો આવે છે. એ સિવાય કિન્નોર-કૈલાશની જાત્રાએ આવતા કેટલાક ફિટ યાત્રાળુઓ આ યાત્રા કરે છે.’
‘તો શું સામાન્ય યાત્રાળુઓ
અહીં ન આવી શકે?’
કેમ ન આવી શકે? એમ કહેતાં તે આયોજક જણાવે છે, ‘જેમને ચડવામાં વધુ તકલીફ ન હોય એવા આસ્થાળુઓ ચોક્કસ આવી શકે. જરૂરી નથી કે એ ૧૨ કિલોમીટર એક જ દિવસમાં ચડવા અને ઊતરવાના હોય. એમાં વચ્ચે એકાદી સાઇટ પર ટેન્ટમાં રાતવાસો કરીને બીજા દિવસે બાકીનું ચડાણ પૂરું કરી શકાય. હા, એ ખરું કે એ ટેન્ટમાં ફક્ત સૂવા માટેની જગ્યાથી વિશેષ કંઈ ન મળે.’
ઓ.કે. તો જેમનાં પગ અને હૈયાં મજબૂત છે તેઓ સદેહે યુલા કાંડાની જાત્રા કરે અને જેઓ નથી જઈ શકવાના તેઓ અમારી સાથે મુરલીધરના મંદિરની માનસયાત્રા કરે.
પૌરાણિક કથા શું કહે છે?
યાત્રા શરૂ કરતાં પહેલાં એની પૌરાણિક કથા જાણીએ. કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવો અહીં આવ્યા હતા અને સ્વયં શ્રીકૃષ્ણએ અહીં આવીને તેમને આશીર્વાદ આપ્યા હતા, જ્યારે એક વર્ગ માને છે કે મહાભારત યુદ્ધ પશ્ચાત પાંડવોએ અહીં રોકાણ કરીને યુદ્ધમાં થયેલા નરસંહારના પાપથી મુક્ત થવા સાધના કરી હતી. એ સાથે ત્રીજી કિંવદંતી એ પણ છે કે પાંચેય કુંતી પુત્રો સાથે કૃષ્ણ પણ એ ભીષણ યુદ્ધથી કાફી વ્યથિત હતા ત્યારે અહીં આવ્યા હતા.
ખેર, આમાંથી કઈ કથા સાચી એનું કોઈ પ્રમાણ નથી, પરંતુ આજે પણ આ વિસ્તારનાં વાઇબ્સ એવાં પૉઝિટિવ છે કે દુન્યવી દુખ તો ભુલાઈ જ જાય અને સાથે આપોઆપ મન ધ્યાનમાં સરી પડે છે. હવે વાત કરીએ મંદિરની તો પહાડી શૈલીમાં બનેલા નાનકડા મંદિરમાં નાનકડા મુરલીધર બિરાજે છે. એક જ રૂમના આ દેવાલયમાં એક પ્લૅટફૉર્મ પર કાનુડાની શ્યામ મૂર્તિ છે અને એની આજુબાજુ અન્ય મૂર્તિઓ છે. સ્થાનિક લોકોના મતે આ મંદિરની સ્થાપના પણ પાંડવોએ કરી છે અને કૃષ્ણની મૂર્તિ પણ એ સમયની છે. જોકે મૂર્તિ પ્રાચીન હોવા છતાં અહીં કાયમી ધોરણે કોઈ પૂજા નથી થતી કે ભોગ નથી ચડાવાતો. મે મહિનાથી ઑક્ટોબર દરમ્યાન આવતા યાત્રાળુઓ કે ટ્રેર્ક્સ પોતાને સમજ પડે એ રીતે ભગવાનનો ભોગ-શણગાર કરે છે. પહાડી પથ્થરના આ મંદિરની દીવાલોમાં બેઉ બાજુએ લાકડાં જડ્યાં છે જે ઠંડા વાતાવરણથી ઇમારતનું રક્ષણ કરે છે. મંદિરની બહારની દીવાલોનાં લાકડાંમાં સુંદર નકશીકામ થયેલું છે જે અગેઇન હિમાચલી શૈલી છે અને જેમાં શ્રીજીના જીવનની કથાઓ કંડારાઈ છે. મંદિરની છત ગ્રે સ્લેટના પથ્થરોથી પ્રોટેક્ટેડ છે. કહેવાય છે કે સદીઓ પૂર્વે આ વિસ્તાર બુશહર રાજવીઓના અન્ડરમાં હતો. ત્યારે રાજા કેહરી સિંહે પાંડવો દ્વારા નિર્મિત મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી શરૂ કરાવી હતી. જોકે એ પછી સ્થાનિક લોકોએ મંદિરની જાળવણી કરી છે અને આનંદની વાત એ છે કે ભગવાન ભલે દરરોજ પૂજાતા નથી પણ તેમનું મંદિર નવુંનક્કોર અને અડીખમ છે. લોકલ રહેવાસીઓનાં ઘરો એટલાં મજબૂત કે સંરક્ષિત નથી, પરંતુ તેમણે જગન્નાથજીને બહુ સલામત રાખ્યા છે.
શિયાળામાં આ મંદિર બરફથી ઢંકાઈ જાય છે.
ટ્રેક કેવી રીતે?
હવે ટ્રેકની વાત કરીએ તો યુલા નામનું ગામ આ ટ્રેકનો બેઝ કૅમ્પ છે. આ પહાડી ગામ નાનકડું છે, પણ અહીંના લોકોનાં દિલ વિશાળ છે. ગામની વચ્ચેથી જ રસ્તો જાય છે યુલા કાંડાએ જેનું નામ છે જન્માષ્ટમી માર્ગ. યસ, વ્રજ સર્કિટથી ૧૦૦૦ કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશમાં ૧૨ કિલોમીટરના પહાડી માર્ગનું નામ છે જન્માષ્ટમી માર્ગ. એનું કારણ આપતાં અહીંનાં સ્થાનિક સરોજદેવી બિસ્ત કહે છે, ‘કૃષ્ણ ભગવાનના જન્મદિવસે આજુબાજુનાં અનેક ગામોમાંથી ૫૦૦થી ૭૦૦ લોકો અહીં કિશનદેવનાં દર્શનાર્થે આવે છે. ગામના જલનાગદેવનાં દર્શન કરીને તેઓ ૧૨ કિલોમીટરનું ચડાણ શરૂ કરે છે. અહીં શહેર જેવી પાકી સડક તો છે નહીં. ગામની સરહદ સુધી પગથિયાં છે. એ પછી નાના-મોટા ખડકોની વચ્ચેથી પસાર થતી નાનકડી કેડીઓ છે. એ કેડી પર આગળ જતાં વચ્ચે ફાંટાઓ આવે છે. પહાડી પ્રદેશમાં એક વિસ્તારમાંથી બીજે જવા, બીજે ગામ જવા કે પોતાની વાડી-ખેતરે જવા આવા ફાંટા આવે છે. બહારથી આવેલા યાત્રાળુઓ ખોટા ફાંટે કે વળાંકે વળી ન જાય એટલા માટે મંદિરે જતા માર્ગને ગ્રામ્યવાસીઓએ જન્માષ્ટમી માર્ગ નામ આપી દીધું છે.’ આ વ્યવસ્થા પણ વર્ષોથી છે એટલે સરકારી ચોપડે ભલે એની નોંધ ન હોય, પરંતુ સ્થાનિક લોકોએ માર્ગનું નામ અપનાવી લીધું છે.
રસ્તાનું પણ અપ્રતિમ સૌંદર્ય
મીડિયમ હાર્ડ કહેવાતી આ ચડાઈમાં રસ્તામાં બે-ત્રણ નાની વસ્તી આવે છે, સફરજનના બગીચાઓ આવે છે, વગડાઉ ફૂલોથી ભરચક વૅલીઓ આવે છે. પાઇન-દેવદારનાં જંગલો તો ખરાં જ, સાથે તળાવ અને ઝરણાં અનેક તો પક્ષીઓ અને પતંગિયાંઓ અસંખ્ય મળે છે. ટ્રેક શ્વાસ ચડાવી દે એવો ચોક્કસ છે, પણ હાશકારો કરાવતી વાત એ છે કે આખો રસ્તો હરિયાળો છે. વળી વાતાવરણ પણ અતિ ઠંડું નથી એટલે હવા ઑક્સિજનયુક્ત છે જે ઍમેટર ટ્રેકર માટે ચડવાનું સહેલું કરી દે છે. જંગલ હોવા છતાં અહીં જનાવરો નથી. ફક્ત વરુ જેવા દેખાતા રૂંવાંદાર કૂતરાઓ છે જે પહાડી માણસો જેવા જ ફ્રેન્ડ્લી છે. ઍન્ડ મોસ્ટ યુનિક થિંગ એ કે માર્ગના દરેક વળાંકે નવું દૃશ્ય નજરે ચડે છે. ક્યાંક ઊંચા-ઊંચા ડુંગરેથી દળદળતા પાણીના ધોધ હોય, ક્યાંય સફેદ દાઢીધારી સ્થિતપ્રજ્ઞ મુનિની જેમ સ્થિર બેઠેલા બર્ફીલા પહાડો દેખાઈ જાય, ક્યાંક તળાવમાં જથ્થાબંધ પાણી જોવા મળે તો ક્યાંક-ક્યાંક ડુંગરાળ પ્રદેશમાં પણ ઘાસનો ગાલીચા પાથરેલાં સપાટ મેદાનો મળે. આવા દરેક એલિમેન્ટને માણતાં-માણતાં વ્યક્તિ છથી ૭ કલાકના ચડાણ બાદ કાન્હાના સૌથી ઊંચા મંદિરે પહોંચી જાય છે. નો ડાઉટ, કપરી ચડાઈ કરતાં-કરતાં કસોટીયે થાય છે અને ક્યાં આ તકલીફ માથે વહોરી લીધી એવા વિચાર પણ આવે ત્યારે રાધાવલ્લભનું નામસ્મરણ ફરી નવો જોશ અને જોમ ભરી દે છે.
અહીં ટ્રેકિંગ દરમ્યાન રાતે આવા ટેન્ટમાં રહેવાની તૈયારી રાખવી પડે.
પરિક્રમા જરૂર કરજો
શ્રીકૃષ્ણનાં દર્શન કરવા સાથે અહીં મંદિરની પરિક્રમા કરવાનું પણ મહત્ત્વ છે અને મંદિરની ફરતે આવેલા અમૃત સરોવરના દિવ્ય જળમાં સ્નાન કરવાનું પણ ખાસ મહત્ત્વ છે. સ્નાન કરવાની ક્ષમતા ન હોય તો એ પવિત્ર પાણીનું આચમન કરવાનું તો ચૂકતા જ નહીં.
કેવી રીતે જવાય?
ભારતના નકશામાં એક ટપકા જેટલું પણ સ્થાન ન પામેલા યુલા ગામે જવા મુંબઈથી શિમલા કે ચંડીગઢ પહોંચવાનું રહે છે. આ બેઉ શહેરોમાં કેવી રીતે જવું એનો તો તમને ખ્યાલ છે જ. એ પછી અહીંથી ટાપરી જતી રોડ પરિવહનમાં બેસો. અફકોર્સ ટૅક્સી કરી જ શકાય. એ તમને ટાપરી શું ડાયરેક્ટ યુલા પહોંચાડી દે છે. બસમાં જાઓ તો ટાપરીથી બીજી બસ યુલા સુધીની અને દોઢ કલાકની એ સ્પાઇરલ પહાડી જર્ની બાદ વાયોલા... તમે યુલા ગામમાં આવી ગયા છો.
યુલામાં કોઈ હોટેલ કે ગેસ્ટ હાઉસ નથી, પણ હોમસ્ટે મળી રહે છે જે બહુ સામાન્ય ચાર્જમાં રહેવાનું-જમવાનું આપે છે. તમે કોઈ ટ્રેક ઑર્ગેનાઇઝર સાથે આવ્યા હો તો તેઓ જ આ બધી વ્યવસ્થા કરે છે, પરંતુ પોતાની મેળે યાત્રા કરવી હોય તો કોઈ સ્થાનિકને ગાઇડ તરીકે લેવો હેલ્પફુલ બની રહેશે. તે આ પર્વતીય પ્રદેશની અવનવી વાતો તો કરશે જ, સાથે થાકી ગયા હો ત્યારે પાનો પણ ચડાવશે. અનેક અનુભવી ટ્રેકરો પોતાની સાથે ટેન્ટ અને કુકિંગ મટીરિયલ લઈને પણ યાત્રા કરે છે. તેઓ તેમને ફાવે ત્યાં રાતવાસો પણ કરે છે. ઈવન મંદિરની નજીક પણ રહી શકે છે. એ સુવિધા અન્ય યાત્રાળુઓને નથી મળતી.
જન્માષ્ટમીની અનોખી ઉજવણી
શ્રાવણ વદ અષ્ટમીએ સ્થાનિક લોકો કૃષ્ણ મંદિરનાં દર્શન તો કરે જ છે, સાથે અહીંના અમૃત સરોવરમાં તેમની ખાસ કિન્નોરી ટોપીને ઊંધી કરીને નાવની જેમ તરવા મૂકે છે. જો એ ટોપી તરીને કિનારે પહોંચે તો તે વ્યક્તિનું આવનારું વર્ષ સુખભર્યું જાય છે, પણ જેની ટોપી ઊંધી વળી જાય તેને તકલીફો આવી શકે એવી માન્યતા છે.
રિસ્પેક્ટ એન્વાયર્નમેન્ટ
આટલી ઊંચાઈએ શ્રીકૃષ્ણનું એકમાત્ર મંદિર હોવા છતાં પ્રશાસન કેમ એને ડેવલપ નથી કરી રહ્યું એવો પ્રશ્ન થયો. એનો જવાબ એ છે કે આ આખો વિસ્તાર પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ સેન્સિટિવ છે. વધુ વિકાસ અહીંની ઇકોસિસ્ટમને ખોરવી શકે છે. આથી કિન્નોર-સ્પીતિના આખા વિસ્તારમાં બુનિયાદી સેવાઓ સિવાય વધુ સગવડો નથી. જોકે છેલ્લાં થોડાં વર્ષોમાં અહીં શરૂ થયેલી પ્રવાસન ગતિવિધિઓથી પર્યાવરણ ઑલરેડી બગડી રહ્યું છે, પરંતુ ઇન્ડિવિડ્યુઅલી અહીં આવનાર દરેક વ્યક્તિ એન્વાયર્નમેન્ટને રિસ્પેક્ટ કરે તો અહીંનું પર્યાવરણ ઉપરાંત સંસ્કૃતિ અને સુંદરતા પણ જળવાઈ રહે.
પૉઇન્ટ્સ ટુ બી નોટેડ
યુલા કાંડા ટ્રેક મે મહિનાથી ઑક્ટોબર દરમ્યાન થાય છે. શિયાળામાં મંદિર ખુલ્લું હોય છે, પરંતુ અહીં વિપુલ માત્રામાં બરફ પડતો હોવાથી એ મહિનાઓમાં ટ્રેક રિસ્કી છે. ઈવન ગ્રામજનો પણ નીચે આવી જાય છે.
જુલાઈ-ઑગસ્ટમાં પણ અહીં વરસાદ હોવાથી ટ્રેક દરમ્યાન તકલીફ વધી જાય છે, પણ કૃષ્ણભક્તો આ તકલીફોને ઓવરકમ કરીને જન્માષ્ટમીએ મંદિરે પહોંચી જ જાય છે.
ઉનાળામાં જાઓ તો પણ પર્વતોમાં યોગ્ય હોય એવાં ગરમ કપડાં, વરસાદથી બચવા વિન્ડચીટર કે રેઇનકોટ, યોગ્ય ટ્રેકિંગ શૂઝ તો જરૂરી છે જ; સાથે થોડું ખાવાનું, ડ્રાયફ્રૂટ્સ અને જરૂરી દવા સાથે રાખવી હિતાવહ છે.
કૃષ્ણ મંદિરની આસપાસમાં અનેક ગાયો જોવા મળે છે. ગાયને ગોળ નહીં પણ મોટા પ્રમાણમાં મીઠું ખવડાવવાની પ્રથા છે. સ્થાનિક લોકો દરેક ટ્રેકરને ગૌમાતાને ખવડાવવા થેલીઓ ભરીને મીઠું લઈ જવાનું રેકમન્ડ કરે છે.

