Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ભક્તિ જ આપણને ધીમે-ધીમે સાચા પ્રકાશ તરફ લઈ જશે

ભક્તિ જ આપણને ધીમે-ધીમે સાચા પ્રકાશ તરફ લઈ જશે

Published : 15 October, 2025 08:13 AM | IST | Mumbai
Morari Bapu

ભક્તિ અભિલાષા વગરની એટલે કે ઈચ્છા વિનાની હોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


આપણી તંદુરસ્તી સારી રહે એ આશય સાથે ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ છે પણ એ ઉત્તમ ભક્તિ નથી. આપણા ઘરમાં બધું સારી રીતે ગોઠવાઈ જાય, કામધંધો સારી રીતે ચાલે એ માટે ભક્તિ કરીએ એ ઠીક છે પણ એ ઉત્તમ ભક્તિ નથી. છોકરો સારા માર્ક મેળવી પાસ થઈ જાય એટલા માટે ભક્તિ કરીએ એ ઠીક છે પણ ઉત્તમ નથી. લોકો કહે છે કે ભજન કરીએ છીએ પણ એટલો ભાવ નથી આવતો, એનું આ જ કારણ છે.

ભક્તિ અભિલાષા વગરની એટલે કે ઈચ્છા વિનાની હોવી જોઈએ. જેમણે અભિલાષા વગરની ભક્તિ કરી છે તે સમાજમાં હોય કે એકાંતમાં હોય, તે આનંદમગ્ન જ રહેશે. ભાવમાં જ લીન રહેશે. ભગવાન આ ભક્તિનો સંબંધ માતા શબરીની સામે વ્યક્ત કરે છે.



‘માનઊં એક ભગતિ કર નાતા.’


હું તો એમ પણ નથી કહેતો કે આપણે અભિલાષા ધરાવીને તેની સાથે ભક્તિ ન કરીએ, ભલે જેટલી થાય એટલી ભક્તિ કરવાની પણ એની શરૂઆત તો કરીએ, ગમે તેમ કરીને અને મજા આવે એમ કરીએ. કારણ કે ભક્તિ જ આપણને ધીમે-ધીમે પ્રકાશ આપશે કે તું જે અભિલાષા સાથે ભક્તિ કરે છે એ શું મારું કોઈ વરદાન છે? તું તો કોડી માગે છે. અરે! તું મારી પાસે કોહિનૂર માગ. આ ભક્તિથી જ તને એનું જ્ઞાન થશે.

યુવાન ભાઈઓ-બહેનોને એમ ન થાય આપણે અભિલાષા વગર ભક્તિ કરીએ. એવું નથી, જે રીતે થાય એ રીતે ભક્તિ કરો. મારો કહેવાનો હેતુ આચાર્ય તરીકે એ જ છે કે ભક્તિ ઉત્તમ થવી જોઈએ, પણ ભક્તિ કરવાની શરૂઆત તો કરો.


આપણા નસીબ આડેનું પાંદડું હટી જાય, આપણું કામકાજ સારી રીતે ચાલે, આપણી તંદુરસ્તી સારી રહે, છોકરા-છોકરીઓનાં લગ્ન સારે ઠેકાણે થઈ જાય એવા કે પછી મનમાં જે વાત આવે એ બહાને ભક્તિ કરો. ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે એવી બધી કચરા જેવી અભિલાષા ભક્તિ આપોઆપ દૂર થઈ જાય છે. સ્વચ્છતાનો આગ્રહી જ્યાં પણ બેસશે ત્યાં પોતાના હાથથી થોડું સાફસૂફ કરી જ લેશે. ભક્તિ શું છે? એટલું તો વિચારો કે પરમાત્મા સ્વયં જેને આધીન રહે છે એ ભક્તિ આપણો કચરો કાઢી નાખશે, તમે શરૂ તો કરો.

તમે જ્ઞાન પામશો એ વાત તમે માનતા નથી અને માનશો પણ નહીં, કારણ કે તમારો આગ્રહ હઠતા અને શઠતા સાથે જોડાયેલો છે. નહીં તો તમે જ્ઞાનનો આગ્રહ રાખો તો એ પણ ભક્તિ જ છે.

Whatsapp-channel Whatsapp-channel

15 October, 2025 08:13 AM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK