ઊર્જાને ઘરમાં લાવવાનું કામ કરતા મુખ્ય દ્વારનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં મેઇન ડોરને ઘરનું મહત્ત્વનું અંગ દર્શાવ્યું છે
પ્રતીકાત્મક તસવીર
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરનું મેઇન ડોર અત્યંત મહત્ત્વનું છે. કોઈ પણ એનર્જીને ઘરમાં લાવવાનું કે પછી ઘરની બહાર રોકવાનું કામ આ મેઇન ડોર કરે છે. નકારાત્મક ઊર્જાને રોકવા માટે આ દરવાજો બહુ મહત્ત્વનો રોલ ભજવે છે અને એટલે જ વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે આ દરવાજા પર અમુક વાતનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ. આજે આપણે એ જ વાત કરવાના છીએ કે ઘરના મેઇન ડોર પર શું હોવું જોઈએ કે પછી એ ડોર પર શું ન હોવું જોઈએ. બહુ સરળ એવા આ રસ્તાઓ વાપરવા આસાન છે.
શક્ય હોય તો અહીં આપવામાં આવેલા સૂચનનો અમલ કરવો.
ADVERTISEMENT
દરવાજા પર શુભ ચિહ્નો...
સનાતનમાં શુભ-લાભ, ઓમકાર અને સ્વસ્તિકને શુભ ગણાવવામાં આવ્યા છે. દરવાજા પર આ ચિહન અચૂક હોવું જોઈએ. જો ત્રણેય ચિહન રાખી શકાય તો ઉત્તમ પણ ઓછામાં ઓછું એક ચિહન તો હોવું જ જોઈએ. આજના સમયમાં ઘણા લોકોને એ ખબર નથી હોતી કે શુભ-લાભ કઈ રીતે લખવા જોઈએ? શુભ-લાભ આ જ ક્રમમાં લખવા જોઈએ. આ ક્રમનો ભાવાર્થ છે કે હું સૌનું શુભ કરીશ, પરમાત્મા તમે મને લાભ કરાવતા રહેજો.
શુભ-લાભની વચ્ચે સ્વસ્તિક રાખવામાં આવે તો પણ એનું પરિણામ ખૂબ સારું મળે છે. સનાતન સિવાયની વ્યક્તિએ તેમના ધર્મમાં કહેવાયેલાં શુભ ચિહનો મેઇન ડોર પર અચૂક રાખવાં જોઈએ.
છેલ્લાં થોડાં વર્ષોથી આ ચિહનોનાં સ્ટિકરનો ઉપયોગ વધ્યો છે પણ જો શક્ય હોય તો એ રોજેરોજ કુમકુમ, ચંદન અને હળદરના મિશ્રણથી જાતે બનાવવામાં આવે તો એ અતિ ઉત્તમ છે અને ધારો કે એ શક્ય ન હોય તો ઍટ લીસ્ટ રોજેરોજ સ્વસ્તિક કે ઓમકાર તો દરવાજા પર ઘરની લક્ષ્મી દ્વારા બનાવવો જ જોઈએ.
દરવાજે બાંધો તોરણ
તોરણ બાંધવાની પ્રથા શુભ દિવસોમાં તો હોય જ છે પણ દરેક દિવસને શુભ માનીને રોજેરોજ આંગણે તોરણ બાંધવાનું સૂચન વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવે છે. સાઉથનાં અનેક ગામોમાં આજે પણ રોજ આસોપાલવના પાનનું તોરણ રોજ ઘરે લગાડવાની પ્રથા છે. એ ઘરમાં રહેતા પરિવારોનો અભ્યાસ કરો તો તમને સ્પષ્ટ દેખાય કે એ કયા સ્તર પર સુખી અને સંતોષી છે.
આસોપાલવ ઉપરાંત ફૂલનું તોરણ પણ આંગણે બાંધી શકાય. જો રોજ તોરણ ન બાંધી શકતા હો તો ઘરના મુખ્ય દરવાજા પર કાપડનું તોરણ પણ બાંધી શકાય. તોરણ ભાતીગળ હોવું જોઈએ અને એમાં શુભ ચિહનો હોય એ જરૂરી છે. આંગણે બંધાયેલું તોરણ બહારની નકારાત્મક ઊર્જાને ઘરમાં દાખલ થતાં રોકે છે. તમે કહો કે આ જે તોરણ છે એ તોરણ હવામાં બનાવવામાં આવેલી લક્ષ્મણ રેખાનું કામ કરે છે.
આગળ વધતાં પહેલાં એક ખાસ વાત કહેવાની. તોરણમાં ભગવાનની પ્રતિકૃતિ કે દરવાજા પર ભગવાનનો કે મંદિરનો ફોટો કે તેમની પ્રતિકૃતિ ક્યારેય ન રાખવી જોઈએ કારણ કે એવું કરીને અજાણતાં જ વ્યક્તિ ભગવાન કે ભગવાનના ઘર એવા મંદિરને ઘરની બહાર મોકલીને જાકારો આપી દે છે. એટલે શક્ય હોય તો શુભ-લાભ, ઓમકાર, સ્વસ્તિક, કળશ જેવાં શુભ ચિહનોનું જ તોરણ પસંદ કરવું.
આંગણે લક્ષ્મીપાદ છે શુભ
લક્ષ્મીપાદ એટલે મા લક્ષ્મીનાં પગલાં ઘરના આંગણે અચૂક હોવાં જોઈએ. એ પગલાં ઘરમાં દાખલ થતાં હોય એ મુજબ એને રાખવાનાં હોય છે. જો શક્ય હોય તો રોજેરોજ એ પગલાંની છાપ બનાવવી જોઈએ. લગાવવામાં આવતાં સ્ટિકર કરતાં એ ખૂબ શુભ ફળ આપે છે. જો એ સંભવ ન હોય તો પેલી ગુજરાતી કહેવતનું પાલન થઈ શકે. ન મામા કરતાં કાણો મામો શું ખોટો!
પ્રયાસ કરવો કે દર શુક્રવારે આંગણે કંકુ પગલાંની છાપ પાડો. સાંજે એ કંકુ કે લાલ કલરને એકત્રિત કરી એને કૂંડામાં પધરાવી દેવો.
અચૂક રાખો નેમ-પ્લેટ
જો નામ વિનાનો માણસ ન હોય તો નેમ-પ્લેટ વિનાનું ઘર ન હોય. ઘરના મેઇન ડોરની બાજુમાં નેમ-પ્લેટ અચૂક હોવી જોઈએ. હવે તો મોટા ભાગે લોકો ફ્લૅટમાં રહેતા હોય છે એટલે ફ્લૅટને નામ આપવું સંભવ ન લાગે પણ સાઉથમાં જૂની પ્રથાને અમલમાં મૂકીને ફ્લૅટને પણ નામ આપવાનું શરૂ થયું છે. જો તમે એવું ન કરી શકો તો પણ અચૂક એટલું કરો કે તમારા ફ્લૅટની બહાર નેમ-પ્લેટ હોય. એ નેમ-પ્લેટ ફૅન્સી બનાવવાની જરૂર નથી. સાદી, સરળ અને સહેલાઈથી નામ વાંચી શકાય એ જરૂરી છે.
નેમ-પ્લેટમાં પરિવારના અર્નિંગ પર્સન અને ઘરના વડીલનું નામ અવશ્ય હોવું જોઈએ. જો તમને શરમ કે સંકોચ ન હોય તો તમે પરિવારના દરેક સભ્યનું નામ પણ લખી શકો છો.
(આવતા રવિવારે વાત કરીશું કે ઘરના મેઇન ડોર પર અને પાસે શું-શું કોઈ કાળે ન હોવું જોઈએ.)

