Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળકોને ભૂખનો અહેસાસ કરવા દો પછી જુઓ, જાતે જ ખાવાનું ખાઈ લેશે

બાળકોને ભૂખનો અહેસાસ કરવા દો પછી જુઓ, જાતે જ ખાવાનું ખાઈ લેશે

16 April, 2024 08:04 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂખનો અહેસાસ કોઈ પણ સજીવ માટે જરૂરી છે તેને એ કરવા દો. 

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


હાલમાં મારા એક દરદી મારી પાસે આવ્યા અને કહ્યું કે તેમનો ૪ વર્ષનો દીકરો જમતો જ નથી, એક જગ્યાએ પગ વાળીને બેસતો જ નથી. નાનો હતો ત્યારે તે વ્યવસ્થિત જમતો હતો, જેમ-જેમ તે મોટો થતો જાય છે એમ તેનું જમવાનું કંઈ ઠેકાણું જ નથી. તેની મમ્મી તેને દરરોજ ખિજાઈને પરાણે જમાડે છે, તો પણ તે ખૂબ ઓછું ખાય છે. તેને ભૂખ કેમ નથી લાગતી એ વાતની તેની મમ્મીને ભરપૂર ચિંતા હતી. બાળક જમે જ નહીં તો પેરન્ટ્સને ઘણી ચિંતા થતી હોય છે. ઘણાં બાળકો એવાં છે જેમને કંઈ પણ આપો તો તે ખાતાં જ નથી, જાણે કે તેમને ભૂખ જ નથી હોતી. જ્યારે મેં તેમને તેમનું રૂટીન પૂછ્યું ત્યારે મને સમજાયું કે તેમનું બાળક કેમ ખાતું નથી. 

એ વાત સાચી છે કે બાળકના ન જમવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોય છે. પહેલાં તો એ કારણ તપાસવું જરૂરી છે. બાળક જમતું ન હોવાનું એક કારણ એ છે કે તમે તેને દર બે કલાકે ખવડાવો છો. તેનો ખોરાક પચે અને ભૂખ લાગે એ પહેલાં તો તેની પાસે બીજો કોઈ ખોરાક આવી જતો હોય છે, આ યોગ્ય નથી. બાળકને ભૂખ લાગવા દો. ઘણા એવી દલીલ કરશે કે મારું બાળક તો આખો દિવસ રમ્યા કરશે, તેને ભૂખ લાગશે જ નહીં અને તે ખાવાનું માગશે જ નહીં. એકાદ દિવસ એવો જાય તો જવા દો. સો ટકા કોઈ બાળક આખો દિવસ ભૂખ્યું ન રહી શકે. તે ચોક્કસ ખાવાનું માગશે. તે માગે ત્યારે જ તેને ખોરાક આપો. તમને લાગે કે તેને તો રમવું હોય એટલે તેને સમજ જ નહીં પડે કે તેને ભૂખ લાગી છે; પરંતુ એવું નથી, તેને સમજ પાડવી પડશે. તમે તેને ચાન્સ આપશો તો તે સમજ ડેવલપ કરશે. મને ભૂખ લાગી છે અને મારું પેટ ભરાઈ ગયું આ બન્ને વસ્તુઓની સમજ બાળકોમાં ડેવલપ કરવી પડે છે. 



ઘણી મમ્મીઓ એ પણ ફરિયાદ કરે છે કે તેમનું બાળક જાતે જમતું નથી. એની પાછળનું એક કારણ એ છે કે તમે પોતે દર બે કલાકે તેને ખવડાવવા બેસી જશો, તેને ભૂખ જ નહીં હોય તો એ જાતે શું કામ ખાય? થોડું પાકું મન કરીને તેને ભૂખ્યું રહેવા દો. તેની ભૂખ ઉઘડવાની રાહ જુઓ. કોઈ પણ સજીવ એક સમયથી વધુ ભૂખ્યો ન રહી શકે. બાળક ભૂખ્યું થાય પછી જ તેની સામે થાળી મૂકવી. પછી જુઓ તે જાતે ખાય છે કે નહીં. ભૂખનો અહેસાસ કોઈ પણ સજીવ માટે જરૂરી છે તેને એ કરવા દો. 

અહેવાલ : ડૉ. ઝીનલ ઉનડકટ


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 08:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK