પાંચ સિંહ ઑબ્ઝર્વેશનમાં : ૬૦૦ જેટલા સિંહનું કરવામાં આવ્યું ડી-ટિકિંગ : અસરગ્રસ્ત વિસ્તાર કર્યો જંતુમુકત
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતની શાન સમાન ગીરના સિંહો પર આવી પડેલું સંકટ હવે ઓછું થઈ રહ્યું છે. જસાધાર અને જામવાળા ઍનિમલ કૅર સેન્ટરમાં વનવિભાગના સ્ટાફ અને ડૉક્ટરોની સઘન દેખરેખ સાથેની સારવારને કારણે સારવાર લઈ રહેલા સત્તરમાંથી ૧૨ સિંહ સાજા થતાં એમને જંગલમાં છોડી મૂકવામાં આવ્યા છે.
બેબિસિયા અને CVD જેવાં ખતરનાક વાઇરસથી બચાવવા માટે સિંહોના શરીર પરથી ટિક્સ એટલે કે કીડા દૂર કરવાની ડી-ટિકિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી. આ વિશે ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ‘૬૦૦ જેટલા સિંહોનું ડી-ટિકિંગ કરવામાં આવ્યું છે. આખો વિસ્તાર જંતુમુક્ત કરવામાં આવ્યો છે. ૧૭ સિંહ હતા એ જ્યારે કૅર સેન્ટરમાં આવ્યા ત્યારે સખત બીમાર હતા અને ચાલી શકવાની પણ ક્ષમતા નહોતી. એમાંથી ૧૨ સિંહ સાજા થયા પછી વનમાં છૂટા કરવામાં આવ્યા છે. બાકીના પાંચ સિંહ ઑબ્ઝર્વેશનમાં છે, તંદુરસ્ત છે.’
ઉલ્લેખનીય છે કે ગીરના જંગલમાં બેબિસિયા રોગને કારણે ૮ જેટલા સિંહનાં મોત થયાં હતાં અને ૧૭ સિંહને ઍનિમલ કૅર સેન્ટરમાં આઇસોલેટ કરવામાં આવ્યા હતા. વનવિભાગ અને ડૉક્ટરોની ટીમોએ એમની દેખરેખ રાખવા સાથે સઘન સારવાર શરૂ કરી હતી જેને પગલે સિંહોની તબિયત સુધરી હતી.
