પહેલી ફ્લાઇટમાં ૩૦ દિવ્યાંગજનો અને શિક્ષકોને લઈ જવાશે નવી મુંબઈ : સવારે અને રાતે બે ટ્રિપ સંચાલિત થશે
ભાવનગર ઍરપોર્ટમાં મુસાફરો માટે લૅપટૉપ વર્ક-સ્ટેશન અને મોબાઇલ ચાર્જિંગ-વ્યવસ્થા
સૌરાષ્ટ્રના ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે આજથી હવાઈ સર્વિસ શરૂ થશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનપ્રધાન કે. આર. નાયડુ ભાવનગરથી પ્રથમ ફ્લાઇટને ફ્લૅગ-ઑફ કરાવશે. પ્રથમ ફ્લાઇટમાં ૩૦ દિવ્યાંગજનો અને શિક્ષકોને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવાઈ પરિવહન ક્ષેત્રે ભાવનગરને આજથી ફરી એક વાર મહત્ત્વપૂર્ણ સુવિધા મળશે. આજે સવારે ૮.૩૫ વાગ્યે ભાવનગર ઍરપોર્ટથી નવી મુંબઈ માટે પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે. ઇન્ડિગો ઍરલાઇન્સ દ્વારા ભાવનગર–નવી મુંબઈ રૂટ પર સવારે અને રાતે એમ દિવસમાં બે વાર ટ્રિપ સંચાલિત થશે. નવી મુંબઈથી રોજ સવારે ૮.૧૫ વાગ્યે ફ્લાઇટ ભાવનગર માટે ઊપડશે અને ભાવનગરથી રોજ સવારે ૮.૩૫ વાગ્યે ફ્લાઇટ નવી મુંબઈ જવા રવાના થશે. નવી મુંબઈથી રોજ રાતે ૮.૩૦ વાગ્યે ફ્લાઇટ ભાવનગર માટે ઊપડશે અને રાતે ૮.૫૦ વાગ્યે ભાવનગરથી ફ્લાઇટ નવી મુંબઈ જવા રવાના થશે. આ હવાઈ સર્વિસ શરૂ થવાથી એ ભાવનગરના વેપારઉદ્યોગ માટે સાનુકુળ બની રહેશે તેમ જ પ્રવાસન માટે પણ સૌરાષ્ટ્ર તરફ આવવા તેમ જ નવી મુંબઈ તરફ જવા સહેલાણીઓને મુસાફરીનો વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થશે.
