આ વિદેશી નાગરિકે જનરલ કોચમાં દરવાજા પાસે બેસવાના મુદ્દે સહપ્રવાસીઓ સાથે ઝઘડો કર્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બાંદરા ટર્મિનસથી દિલ્હી જઈ રહેલી ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં ૧૭ ઑગસ્ટે જનરલ કોચમાં પ્રવાસીઓ સાથે ઝઘડો કર્યા બાદ તેમના પર ફાયર-એક્સ્ટિંગ્વિશરથી હુમલો કરનારા ૪૫ વર્ષના એક વિદેશી નાગરિકનું શંકાસ્પદ સંજોગોમાં સુરત રેલવે-સ્ટેશન પર મૃત્યુ થયું હતું. આ વિદેશી નાગરિક પાસે પાસપોર્ટ કે વીઝા પણ નહોતા અને તેની ઓળખ પુરવાર કરે એવા કોઈ દસ્તાવેજો પણ નહોતા. સુરત રેલવે-પોલીસે ઍક્સિડેન્ટલ ડેથનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ વિદેશી નાગરિકે જનરલ કોચમાં દરવાજા પાસે બેસવાના મુદ્દે સહપ્રવાસીઓ સાથે ઝઘડો કર્યો હતો અને તેથી પ્રવાસીઓએ રેલવે-પોલીસને જાણ કરી હતી. તેણે સહપ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ જ્યારે ટ્રેન સુરત પહોંચી ત્યારે રેલવે-પોલીસ ડબ્બામાં આવી હતી અને તેને નીચે ઉતાર્યો હતો, પણ તેને કસ્ટડીમાં લેતાં પહેલાં જ તે ઢળી પડ્યો હતો અને હૉસ્પિટલમાં લઈ જતાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
