ગુજરાતના ચૂંટણી-ઇતિહાસની અચરજભરી અને આવકારદાયક ઘટના : ગાંધીનગર જિલ્લા-પંચાયતની ઉવારસદ બેઠક પર BJP અને કૉન્ગ્રેસના ઉમેદવારના પરિવારજનોએ લીધા કુળદેવીના નામે આવા સોગંદ
ચૂંટણીમાં દારૂ નહીં વહેંચવા માટે BJPના ભરતજી ઠાકોર અને કૉન્ગ્રેસના ગોવિંદજી ઠાકોરે તેમની કુળદેવીના સોગંદ લીધા હતા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના ચૂંટણી-ઇતિહાસની અચરજભરી અને આવકારદાયક ઘટના બની છે. ચૂંટણીમાં સ્વાભાવિક રીતે દારૂની બદી ફેલાયેલી હોય છે અને એના કોઈ પુરાવા નથી હોતા ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતની ઉવારસદ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવારોના પરિવારજનોએ કુળદેવીના નામે અને ગામ તેમ જ પાર્ટીના આગેવાનોની હાજરીમાં સોગંદ લીધા છે કે ચૂંટણીમાં દારૂ નહીં વહેંચીએ અને દારૂના નામથી પૈસા માગે તો નહીં આપીએ.
ગ્રામીણ લેવલના રાજકીય આગેવાનો અને કાર્યકરો તેમ જ ગામના આગેવાનોએ સાથે મળીને રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકરોને દિશા ચીંધતા આવકારદાયક નિર્ણય અંગે વાત કરતાં કૉન્ગ્રેસનાં ઉમેદવારના પતિ ગોવિંદજી ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉવારસદ બેઠક પરથી મારી પત્ની ભાગ્યવતી ઠાકોર ઉમેદવાર છે. આ ચૂંટણીમાં દારૂ નહીં વહેંચીએ એવા સોગંદ અમે લીધા છે. આવું એટલા માટે કર્યું છે કે સમાજમાં દૂષણ ચાલે છે. નાની ઉંમરે લોકો મૃત્યુ પામે છે અને અમારી બહેન-દીકરીઓ અને સમાજને નુકસાન થાય છે. ઉવારસદ ગામમાં ગામના આગેવાનોએ બેઠક કરી હતી. BJPના ભરતજી સાથે મળીને BJP તેમ જ કૉન્ગ્રેસના અને ગામના આગેવાનોની હાજરીમાં અમે દારૂ અને દારૂના નામે પૈસો કોઈ પણ વ્યક્તિ માગે તો આપવો નહીં એવો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કર્યાને પાંચ દિવસ થયા છે અને એનો અમલ કરી રહ્યા છીએ. બન્ને પક્ષો કોઈને દારૂ કે પૈસો આપતા નથી.’
ADVERTISEMENT

ઉવારસદ ગામમાં આગેવાનોની બેઠક મળી હતી અને ચૂંટણીમાં દારૂ ન વહેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો
BJPનાં ઉમેદવારના સસરા ભરતજી ઠાકોરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉવારસદ બેઠક પરથી મારી પુત્રવધૂ લક્ષ્મી ઠાકોર ચૂંટણી લડી રહી છે. બન્ને પક્ષોની મીટિંગ ગામના આગેવાનના ઘરે મળી હતી. એમાં સુખશાંતિથી ચૂંટણી લડવાનું અને દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂ નહીં વહેંચવાનું નક્કી કર્યું છે જેથી યુવા પેઢી બગડે નહીં. મેં મારાં કુળદેવી ચામુંડા માતાજીના નામે અને કૉન્ગ્રેસના ગોવિંદજીએ તેમનાં કુળદેવી નાગનેશ્વરી માતાજીના નામે સોગંદ લીધા હતા કે ચૂંટણીમાં દારૂ નહીં વહેંચીએ.’
