Aneet Padda grandfather passed away: ‘સૈયારા’ ફૅમ અભિનેત્રી અનિત પડ્ડાના માથે દુઃખનો ડુંગર તૂટ્યો; સૌથી નજીકના અને પ્રિય વ્યક્તિએ લીધા અંતિમ શ્વાસ; ઈમોશનલ થઈ સોશ્યલ મીડિયા પર અનિતે ઠાલવ્યું પોતાનું દર્દ; જાણો કોના જવાથી આટલી ભાંગી પડી અભિનેત્રી
તસવીર સૌજન્યઃ અનીત પડ્ડાનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ
‘સૈયારા’ (Saiyaara) ફૅમ અભિનેત્રી અનીત પડ્ડા (Aneet Padda) અત્યારે ખુબ જ દુખી છે. તેના દાદાના નિધનથી (Aneet Padda grandfather passed away) શોકમાં છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે દાદાને પ્રેમથી યાદ કર્યા છે અને પોતાના જીવનના "એકમાત્ર પ્રેમ"ને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
તાજેતરમાં જ અભિનેત્રી અનીત પડ્ડાના દાદા (દાદુ)નું અવસાન થયું છે. અનીતે ઇન્સ્ટાગ્રામ પર તેના દાદા સાથેની એક અત્યંત હૃદયસ્પર્શી તસવીર શેર કરી છે, જેમાં તે તેમનો હાથ પકડેલી જોવા મળે છે. આ પોસ્ટની સાથે તેણે પોતાના દિલની વાત લખતા જણાવ્યું કે, તેના દાદા તેના જીવનનો એકમાત્ર પ્રેમ હતા. તેના દાદા લાંબા સમયથી અલ્ઝાઈમર (Alzheimer)ની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને ધીરે ધીરે તેમની યાદશક્તિ નબળી પડી રહી હતી. આમ છતાં, તેમનો પ્રેમ હંમેશા નિખાલસ અને મજબૂત રહ્યો હતો.
ADVERTISEMENT
દાદા માટે ઈમોશનલ પોસ્ટ કરી અનીત પડ્ડાએ
મંગળવારે, અનીત પડ્ડાએ ઇન્સ્ટાગ્રામ પર તેના દાદાનો હાથ પકડેલી એક તસવીર પોસ્ટ કરી હતી. પોસ્ટમાં અભિનેત્રીએ તેના દાદાનો હાથ પકડેલી એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે. આ ફોટાની સાથે તેણે એક ઈમોશનલ નોંધ લખી હતી, જેમાં તેણે તેમને યાદ કર્યા હતા અને તેમને ગુમાવ્યાની દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
અનીત પડ્ડાએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મારા જીવનનો એકમાત્ર પ્રેમ... તમે મારાથી દૂર જઈ રહ્યા હતા, છતાં તમે `માખણ`ને ભૂલ્યા નહીં. જ્યારે તમારી યાદશક્તિ તમારો સાથ છોડી રહી હતી, ત્યારે પણ તમે પ્રેમને પકડી રાખ્યો હતો.’
View this post on Instagram
આગળ તેણે લખ્યું કે, ‘હવે હું એ યાદો અને પ્રેમ બંનેને સાચવી રાખીશ. આપણે સાથે વિતાવેલા તમામ વર્ષોને હું મારી સાથે રાખીશ. હું એક સારી વ્યક્તિ બનીશ. હું તમારા જોક્સ મારી સાથે રાખીશ અને જ્યારે પણ તક મળશે ત્યારે તેને દોહરાવીશ. હું તમારી દયા અને તમારા પ્રકાશને દરેક અંધકારભર્યા ઓરડામાં લઈ જઈશ. હું તમારી વાર્તાઓ દુનિયાને સંભળાવીશ. હું તમારા પ્રેમને મારી સાથે રાખીશ, તમે મને સૌથી શુદ્ધ અને નિઃસ્વાર્થ પ્રેમ શીખવ્યો છે. હું તમને હંમેશા મારી સાથે રાખીશ.’
પોસ્ટમાં અંતમાં તેણે લખ્યું હતું કે, ‘આજે મેં આકાશમાં સૌથી તેજસ્વી તારો જોયો અને મને ખબર પડી ગઈ કે તમે ક્યાં ગયા છો. હું તમને પ્રેમ કરું છું. હું તમને પ્રેમ કરું છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું, દાદુ. હંમેશા માટે, સમયની મર્યાદાઓથી પણ પર.’
અલ્ઝાઈમરથી પીડાતા હતા અભિનેત્રીના દાદા
ફિલ્મ `સૈયારા`માં અલ્ઝાઈમરના દર્દીની ભૂમિકા ભજવનાર અનીતે એકવાર ખુલાસો કર્યો હતો કે તેના દાદા આ બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા.
ગયા વર્ષે `ધ હોલીવુડ રિપોર્ટર ઇન્ડિયા`ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘મારા દાદુને અલ્ઝાઈમર છે, તેથી જ આ ફિલ્મ મારા માટે વધુ ખાસ હતી. તેઓ અત્યારે એવા તબક્કે છે જ્યાં તેમને મોટાભાગની વસ્તુઓ યાદ નથી રહેતી, પરંતુ મને આ ફિલ્મમાં વિશ્વાસ હતો કારણ કે તે કહે છે કે `દિમાગ ભૂલી જાય છે પણ દિલ ક્યારેય નથી ભૂલતું`, અને મારા દાદુ માટે આ વાત એકદમ સાચી છે. તેમને મારું નામ યાદ નથી; તેમને ઘણું બધું યાદ નથી, પણ તેઓ મને `હીરાપુત` અથવા `માખણ` કહીને બોલાવે છે.’
અનીત પડ્ડાની આ પોસ્ટ પર ઇન્ડસ્ટ્રીના લોકો તેના દાદુને શ્રદ્ધાંજલી અને અભિનેત્રીને દુઃખના સમયમાં સાંત્વના આપી રહ્યાં છે.
