ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, UAEથી આવેલા ગુજરાતીઓ સહિતના અનેક ભારતીયો રસ્તામાં વડા પ્રધાનનો પ્રચાર કરતા જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
અબ કી બાર ફિર મોદી સરકારના નારા સાથે વિદેશમાં રહેતા ગુજરાતી સહિતના ભારતીયોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થનમાં આવતી કાલે ગુજરાતમાં અમદાવાદથી સુરત સુધીની
કાર-રૅલીનું આયોજન કર્યું છે અને આ રૅલી દ્વારા નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિદેશ સંપર્ક વિભાગના કન્વીનર દિગંત સોમપુરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૮ એપ્રિલે અમદાવાદના રિવરફ્રન્ટથી સુરત સુધી કાર-રૅલી યોજાશે જેમાં ૧૦૦ કારમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓ સહિતના ભારતીયો એટલે કે NRG અને NRI જોડાશે. લોકસભાની આ ચૂંટણીમાં વિદેશમાં વસતા ભારતીયો પણ ઇચ્છી રહ્યા છે કે નરેન્દ્ર મોદી ફરી વાર વડા પ્રધાન બને અને એને લઈને નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર-રૅલીનું આયોજન કર્યું છે. આ કાર-રૅલીમાં જોડાવા માટે ઇંગ્લૅન્ડ, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, UAE સહિતના દેશોમાંથી ૧૫૦થી વધુ ગુજરાતી સહિતના ભારતીય ગુજરાત આવ્યા છે, જેઓ કાર-રૅલીમાં ૧૦૦ કારના કાફલામાં બેસીને અમદાવાદ રિવરફ્રન્ટથી શરૂ કરીને સુરત સુધી જશે. આ કાર-રૅલીમાં વિદેશમાં વસતા ગુજરાતીઓ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોના વિદેશમાં વસતા નાગરિકો પણ જોડાશે.’