અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, એકનાથ શિંદે સહિતના મહાનુભાવોએ વડનગરથી વારાણસીની બાઇક-રૅલીને ફ્લૅગ ઑફ આપીને કરાવ્યું પ્રસ્થાન : શર્મિષ્ઠા તળાવની પાળે યોજાઈ મહાઆરતી અને નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે થઈ પ્રાર્થના
અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, એકનાથ શિંદે, હર્ષ સંઘવી, અનુપ્રિયા પટેલ સહિતના મહાનુભાવોએ ૨૫૦ બાઇકર્સને વડનગરથી ફ્લૅગ ઑફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અને જનસેવાથી રાષ્ટ્રસેવાનાં પચીસ વર્ષના ઉપલક્ષમાં ઉત્તર ગુજરાતમાં આવેલા તેમના વતન વડનગરમાં ગઈ કાલથી સેવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો હતો. વડનગરમાં આવેલા શર્મિષ્ઠા તળાવના કિનારે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને મહાઆરતીમાં ભાગ લઈ નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી હતી તેમ જ વડનગરથી વારાણસી સુધીની બાઇક-રૅલીને ફ્લૅગ ઑફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ૨૫૦થી વધુ બાઇકર્સ વડનગરથી વારાણસી સુધી રાષ્ટ્રસેવા અને જનજાગૃતિનો સંદેશ પ્રસરાવશે.
કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવમાંથી એક કળશમાં જળ ભર્યું હતું. આ જળ બાઇકર્સ તેમની સાથે લઈ જઈને કાશી વિશ્વનાથનાં ચરણોમાં અર્પણ કરશે. મહાઆરતી બાદ મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી અને હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં હતાં.
ADVERTISEMENT
વડનગરની માટીમાંથી ઊઠેલો અવાજ આજે વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યો છે. કલમ ૩૭૦ની નાબૂદી, રામમંદિર નિર્માણ અને ડિજિટલ ઇન્ડિયા જેવા ઐતિહાસિક નિર્ણયો લઈને વડા પ્રધાને મક્કમ નેતૃત્વ પૂરું પાડ્યું છે. - મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું હતું કે ‘આઝાદી પછી અત્યાર સુધી કોઈ પણ રાજનેતાએ સતત પચીસ વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. વડા પ્રધાને એક પણ દિવસની રજા લીધા વિના પચીસ વર્ષ રાષ્ટ્રની સેવામાં વ્યતિત કર્યાં છે. વડા પ્રધાને ૧૪૦ કરોડ ભારતીયોને જ પોતાનો પરિવાર માન્યો છે અને ભારત પ્રથમના મંત્ર સાથે દેશને નવી દિશા આપી છે. વડા પ્રધાનનાં ૧૨ વર્ષના કાર્યકાળને ગરીબ કલ્યાણના સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવશે. ૮૦ કરોડ ગરીબોને નિઃશુલ્ક અનાજ, આવાસ, શૌચાલય, વીજળી, ગૅસ-સિલિન્ડર અને પાંચ લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડીને છેવાડાના માનવીનું જીવન સ્તર સુધારવામાં આવ્યું છે. ભારતને ફ્રેઝાઇલ ફાઇવમાંથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનાવવાનું શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વને જાય છે.’
નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠની દેશભરમાં ઉજવણી

પુષ્કરમાં એક સૅન્ડ-આર્ટિસ્ટે નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ દર્શાવતું ભવ્ય રેતશિલ્પ બનાવ્યું હતું.
