ડોનલ્ડ ટ્રમ્પે હવે ફેરવી તોળ્યું
બુધવારે કતરના દોહામાં મુકેશ અંબાણી પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા હતા.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામમાં પોતાની ભૂમિકા અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. કતરના પ્રવાસ દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમણે બન્ને દેશો વચ્ચેના તનાવને શાંત કરવામાં મદદ કરી હતી, પરંતુ ઉમેર્યું કે તેઓ સીધા એવું કહેવા માગતા નથી કે તેમણે મધ્યસ્થી કરી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૦ મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
- ૧૫ મે ૨૦૨૫ : કતરમાં એક કાર્યક્રમ દરમ્યાન ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે મેં મધ્યસ્થી કરી, પરંતુ મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ ખતરનાક બની રહેલી સમસ્યાને ઉકેલવામાં મદદ કરી હતી.
- ૧૨ મે ૨૦૨૫ : ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ‘યુદ્ધવિરામ કરારના પગલે યુનાઇટેડ સ્ટેટ્સ ભારત અને પાકિસ્તાનને મદદ કરવા તૈયાર છે. વેપાર એક મોટું કારણ છે જેને કારણે તેમણે લડાઈ બંધ કરી.’ જોકે ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના લશ્કરી તનાવ દરમ્યાન ભારત અને અમેરિકા વચ્ચેની કોઈ પણ ચર્ચા દરમ્યાન વેપારનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો નહોતો.
- ૧૦ મે ૨૦૨૫ : યુદ્ધવિરામની થોડી ક્ષણો પહેલાં જ ડોનલ્ડ ટ્રમ્પે આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘મને એ જાહેરાત કરતાં ખૂબ આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયાં છે. સામાન્ય સમજ અને શાણપણ દર્શાવવા બદલ બન્ને દેશોને અભિનંદન.’
ADVERTISEMENT
ભારતે અમેરિકાને શૂન્ય ટૅરિફ વેપાર કરારની ઑફર આપી હોવાનો ડોનલ્ડ ટ્રમ્પનો દાવો
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સતત દાવો કરતા ફરે છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ટ્રમ્પે હવે બીજો દાવો કર્યો છે. તેમણે કહ્યું હતું કે ‘ભારતે અમેરિકાને શૂન્ય ટૅરિફ વેપાર કરારની ઑફર કરી છે. ભારતમાં કંઈ પણ વેચવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેઓ વૉશિંગ્ટન સાથે શૂન્ય ટૅરિફ વેપાર સોદો કરવા તૈયાર છે.’
ડોનલ્ડ ટ્રમ્પે ૯ એપ્રિલે ભારત સહિત ઘણા દેશો પર ટૅરિફની જાહેરાત કરી હતી. અમેરિકાએ ભારત પર ૨૬ ટકા ટૅરિફ લાદી હતી. એ પછી તનાવની સ્થિતિ સર્જાઈ હતી. એના જવાબમાં ભારતે અમેરિકા સાથે વેપાર કરાર અંગે વાટાઘાટો વધારી હતી.

