સાતથી ૧૩ વર્ષની વયનાં ત્રીસથી વધુ બાળકો ક્લાસમાં ભણી રહ્યાં હતાં ત્યારે છત અચાનક તૂટી પડી અને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.
દુર્ઘટના જ્યાં બની હતી એ સ્થળનું દૃશ્ય
પાકિસ્તાનના લાહોરમાં ગઈ કાલે એક બંધાઈ રહેલા બિલ્ડિંગમાં કાર્યરત ખાનગી ટ્યુશન સેન્ટરની છત ધરાશાયી થતાં ઓછામાં ઓછા ૧૪ બાળકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. લાહોર પોલીસે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા વિસ્તારમાં આવેલી ઍકૅડેમીમાં સાતથી ૧૩ વર્ષની વયનાં ત્રીસથી વધુ બાળકો ક્લાસમાં ભણી રહ્યાં હતાં ત્યારે છત અચાનક તૂટી પડી અને બાળકો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં.
અફઘાનિસ્તાનનો પાકિસ્તાનમાં ISISનાં ઠેકાણાંઓ પર હુમલો
ADVERTISEMENT
અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ગઈ કાલે જણાવ્યું હતું કે તેમની ઍરફોર્સે પાકિસ્તાનના બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતોમાં કથિત ઇસ્લામિક સ્ટેટ ઇન ઇરાક ઍન્ડ સિરિયા (ISIS)નાં ઠેકાણાંઓ પર હવાઈ હુમલા કર્યા હતા અને દાવો કર્યો હતો કે આ સ્થળોનો ઉપયોગ અફઘાનિસ્તાનમાં નાગરિકો સામે હુમલાઓની યોજના બનાવવા માટે થઈ રહ્યો હતો. સંરક્ષણ મંત્રાલયે એ પણ ભાર મૂક્યો હતો કે અફઘાનિસ્તાનની સુરક્ષાને નબળી પાડવા માટે ઉપયોગમાં લેવાતા કોઈ પણ સ્થાનને નિશાન બનાવવામાં આવશે, અમે એ દરેક સ્થાનને નિશાન બનાવીશું જે અમારી સુરક્ષા માટે ખતરો ઊભો કરે છે.
વલસાડમાં નૅશનલ હાઇવે પર કન્ટેનર ટ્રકમાં ભીષણ આગ
નૅશનલ હાઇવે-48 પર બુધવારે વલસાડ નજીક સોનવાડા ગામ પાસે એક કન્ટેનર ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમે તુરંત ઘટનાસ્થળે દોડીને કન્ટેનર પર સતત પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી. ભયાનક ઘટનાને પગલે હાઇવેના આ રૂટ પર થોડો સમય માટે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી.
વારાણસીમાં રોડ પહોળો કરવા માટે પાંચ મસ્જિદનું ડિમોલિશન
ઉત્તર પ્રદેશના વારાણસીમાં દાલ મંડી વિસ્તારમાં રસ્તો પહોળો કરવામાં અવરોધરૂપ થતાં બાંધકામોને તોડવામાં આવી રહ્યાં છે અને ગઈ કાલે સવારે જાહેર બાંધકામ વિભાગ, સુધરાઈ અને વારાણસી ડેવલપમેન્ટ ઑથોરિટીની દેખરેખ હેઠળ પાંચ મસ્જિદોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. દાલ મંડી પહોળાઈ પ્રોજેક્ટ હેઠળ ૧૮૧ ઘરો અને ૬ મસ્જિદો તોડી પાડવામાં આવનાર છે. અત્યાર સુધીમાં ૧૬૨ ઘરો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને એમાંથી ૮૦ ઘરો સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યાં છે.
૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની કૉક્રૉચ જનતા પાર્ટીનાં ધરણાંમાં જોડાયા
જંતરમંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ ગઈ કાલે બારમા દિવસમાં પ્રવેશ્યો હતો અને ગઈ કાલે ૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની પંડિત રામ કિશને વિરોધ-પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને સ્થળ પર ભાગ લેનારાઓ સાથે વાતચીત કરી હતી. તેમણે આ વિરોધ-પ્રદર્શનને પોતાનો ટેકો વ્યક્ત કર્યો હતો અને પોતાના વિચારો માંડ્યા હતા. આ સમયે પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શનકારીઓ ૨૦ જૂનથી કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ મુદ્દે CJPના પ્રવક્તાએ કહ્યું હતું કે અમારી સાથે પ્રશાંત ભૂષણ અને ૧૦૧ વર્ષના સ્વાતંયસેનાની, ભૂતપૂર્વ વિધાનસભ્ય અને સંસદસભ્ય પંડિત રામ કિશન જોડાયા છે. ન્યાય માટેની આ લડાઈમાં તેમના સમર્થન બદલ અમે તેમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બસ અને ટ્રક વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગમાં ૮ જણનાં મોત

રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર બુધવારે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ-અકસ્માત સર્જાયો હતો. ઉત્તરાખંડના હૃષીકેશથી મધ્ય પ્રદેશના ઇન્દોર જઈ રહેલી હંસ ટ્રાવેલ્સની એક લક્ઝરી બસ આગળ ચાલી રહેલા એક ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ નિયંત્રણ ગુમાવીને રોડકિનારે આવેલા ખાડામાં ખાબકી હતી અને જોતજોતાંમાં બસના પાછળના ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક દુર્ઘટનામાં ૮ મુસાફરોનાં કરુણ મોત થયાં હતાં, જેમાંથી પાંચ લોકો આગની જ્વાળાઓમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.
