ઈરાની તેલ માટે પેમેન્ટની શરતોમાં ફેરફારને કારણે ટૅન્કર ચીન તરફ વળી ગયું હોવાનું જાણવા મળે છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઈરાનથી આશરે ૬,૦૦,૦૦૦ બૅરલ ક્રૂડ ઑઇલ લઈને ભારત આવી રહેલું એક ટૅન્કર મધદરિયે અચાનક ચીન તરફ ફંટાઈ ગયું હતું. ગુરુવાર રાત સુધી પિંગ શુન નામનું આ ટૅન્કર અરબી સમુદ્રમાં ભારત તરફ આવી રહ્યું હતું અને આ જહાજ ગુજરાતના વાડીનાર બંદર પર પહોંચવાની અપેક્ષા હતી.
ઈરાની તેલ માટે પેમેન્ટની શરતોમાં ફેરફારને કારણે ટૅન્કર ચીન તરફ વળી ગયું હોવાનું જાણવા મળે છે. ૩૦-૬૦ દિવસની ક્રેડિટ-વિન્ડો ઑફર કરવાને બદલે તેલ વેચનારાઓ હવે અગાઉથી પેમેન્ટની માગણી કરી રહ્યા છે. આ દેખીતી રીતે ઈરાન યુદ્ધથી ઊભી થયેલી પરિસ્થિતિને કારણે છે. જો પેમેન્ટની સમસ્યા ઉકેલાઈ જાય તો પણ કાર્ગો ભારત આવી શકે છે. જો આ ટૅન્કર ભારતમાં ડૉક થાય છે તો એ ૨૦૧૯ પછી દેશમાં ઈરાની ક્રૂડ ઑઇલનો પ્રથમ કાર્ગો હશે.
ADVERTISEMENT
હજી સુધી સ્પષ્ટ નથી કે કઈ ભારતીય રિફાઇનરીએ આ કાર્ગો ખરીદ્યો છે, કારણ કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, નાયરા એનર્જી અને ભારત પેટ્રોલિયમ સહિત અનેક રિફાઇનરીઓ વાડીનાર દ્વારા ક્રૂડ ઑઇલની આયાત કરે છે.
