Tonmoy Sharma arrested: ભારતીય મૂળના ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્માની અમેરિકામાં ૧૪૯ મિલિયન ડોલરના આરોગ્ય સંભાળ કૌભાંડના આરોપસર ધરપકડ કરવામાં આવી છે; યુએસ ફેડરલ એજન્સીએ છેતરપિંડીના કેસમાં ધરપકડ કરાયેલ ફાર્મા જાયન્ટ મૂળ આસામના છે
ડૉ. તન્મય શર્મા (તસવીર સૌજન્યઃ એક્સ)
અમેરિકા (United States of America)માં રહેતા ભારતીય મૂળના એક ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. ફાર્મા કંપની સોવરિન ગ્રુપ (Sovereign Group)ના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ તન્મય શર્મા (Tonmoy Sharma) પર ૧૪૯ મિલિયન ડોલર એટલે કે લગભગ ૧૨૪૪ કરોડ ભારતીય રૂપિયાની હેલ્થકેર છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
૬૧ વર્ષીય ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્મા (Tonmoy Sharma arrested) પર આરોગ્ય વીમા કંપનીઓને ૧૪૯ મિલિયન ડોલરથી વધુના કપટપૂર્ણ દાવા સબમિટ કરવાનો આરોપ છે. કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં એટર્નીની ઓફિસ (Attorney`s Office in the Central District of California) અનુસાર, સોવરિન હેલ્થ ગ્રુપે દર્દીઓને તેમની જાણ વગર વીમા યોજનાઓમાં છેતરપિંડીથી નોંધણી કરાવી હતી.
ADVERTISEMENT
ફેડરલ ગ્રાન્ડ જ્યુરી (Federal Grand Jury)એ તન્મય શર્મા વિરુદ્ધ આઠ મુદ્દાની ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં જણાવાયું છે કે શર્માએ છેતરપિંડીથી ૧૪૯ મિલિયન ડોલરના દાવા મેળવ્યા હતા. આ માટે તેમણે ૨૧ મિલિયન ડોલર (લગભગ ૧૮૦ કરોડ રૂપિયા)થી વધુની લાંચ આપી હતી. શર્માની સાથે તેમના સહયોગી પોલ જિન સેન ખોરની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. કેસની આગામી સુનાવણી ૨૯ જુલાઈના રોજ થવાની છે.
અમેરિકન મીડિયા આઉટલેટ અનુસાર, દક્ષિણ કેલિફોર્નિયામાં અનેક વ્યસન મુક્તિ કેન્દ્રો ચલાવતા તન્મય શર્માના સોવરિન હેલ્થ ગ્રુપની ૨૦૧૭થી તપાસ ચાલી રહી હતી. આ સંસ્થા હવે બંધ છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (Federal Bureau of Investigation – FBI)એ તેના ચાર તબીબી કેન્દ્રો પર દરોડા પાડ્યા હતા. શર્મા પર વાયર છેતરપિંડીના ચાર ગુના, કાવતરાનો એક ગુનો અને ક્લિનિકલ સારવાર માટે ગેરકાયદેસર રેફરલના ત્રણ ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કોણ છે તન્મય શર્મા?
મૂળ ભારત (India)ના ૬૧ વર્ષીય તન્મય શર્મા આસામ (Assam)ના ગુવાહાટી (Guwahati)ના રહેવાસી છે. તન્મય શર્મા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સંશોધન મનોચિકિત્સક છે જેમણે સ્કિઝોફ્રેનિયા અને માનસિક બીમારીઓમાં મગજના કાર્ય અને માનવ વર્તન પર નોંધપાત્ર સંશોધન કર્યું છે. આસામના પ્રખ્યાત થિયેટર કલાકાર, અભિનેતા અને દિગ્દર્શક ફણી શર્માના ઘરે જન્મેલા તન્મયએ ૧૯૮૭માં ડિબ્રુગઢ મેડિકલ કોલેજ (Dibrugarh Medical College)માંથી એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. દિલ્હી (Delhi)ની સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં ઇન્ટર્નશિપ કર્યા પછી, તેઓ પહેલા બ્રિટન અને પછી અમેરિકા ગયા. તેમણે ૧૯૮૭માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Medical Council of India - MCI) પાસેથી મેડિકલ લાઇસન્સ મેળવ્યું. ૧૯૮૮માં, તેમણે જનરલ મેડિકલ કાઉન્સિલ ઓફ બ્રિટન (General Medical Council of Britain)માંથી બીજું લાઇસન્સ મેળવ્યું. તેમણે માનસિક રોગો પર કામ કરીને ખ્યાતિ મેળવી અને ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તન્મય શર્માએ ૨૦૦થી વધુ રિચર્સ લેખ પ્રકાશિત કર્યા છે અને પાંચ પુસ્તકો લખ્યા છે.

