ફુટપાથ પર જ મોટા પાયે સ્ટૉલ બાંધી દેવામાં આવ્યા હોવાને કારણે સ્થાનિક નાગરિકોને ચાલવા માટે જગ્યા જ બચતી નહોતી
કેશરવાલા ગાર્ડનની બહાર ફુટપાથ પરના સ્ટૉલ પર થયેલી કાર્યવાહી.
ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી પ્રખ્યાત ખાઉ ગલીમાં BMC દ્વારા એક મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે. વલ્લભબાગ લેનમાં આવેલા કેશરવાલા ગાર્ડનની બહાર ફુટપાથ પર ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા સાત ફૂડ-સ્ટૉલને ગઈ કાલે BMCના N વૉર્ડના અધિકારીઓ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા.
ફુટપાથ પર જ મોટા પાયે સ્ટૉલ બાંધી દેવામાં આવ્યા હોવાને કારણે સ્થાનિક નાગરિકોને ચાલવા માટે જગ્યા જ બચતી નહોતી. આ ઉપરાંત સાંજના અને રાતના સમયે અહીં ખાણી-પીણીના શોખીનોની ભારે ભીડ ઊમટતી હતી, જેના કારણે સમગ્ર વલ્લભબાગ લેનમાં ટ્રાફિક જૅમની ગંભીર સમસ્યા સર્જાતી હતી. આ બાબતે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત અને મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવ્યા બાદ BMC પ્રશાસન ઍક્શન મોડમાં આવ્યું હતું.
ADVERTISEMENT
BMCના N વૉર્ડના મેઇન્ટેનન્સ વિભાગના સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વારંવાર ચેતવણી આપવા છતાં સ્ટૉલ-માલિકોએ પોતાની જગ્યા ખાલી કરી નહોતી, જેથી અંતે ગઈ કાલે કડક વલણ અપનાવીને ૭ સ્ટૉલ તોડી પાડવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ઘાટકોપરના અન્ય વિસ્તારોમાં પણ ફુટપાથ પર થયેલા આવાં જ ગેરકાયદેસર દબાણો સામે ઝુંબેશ ચલાવીને કડક કાર્યવાહી કરવામાં આવશે.’
