Ambernath Murder Case: અંબરનાથમાં કથિત પ્રેમ પ્રકરણની શંકાના આધારે થયેલા હુમલામાં ૨૧ વર્ષીય યુવકનું મોત; નગરસેવિકા પર આરોપીઓને બચાવવાનો આક્ષેપ મુકી મૃતકના સંબંધીઓએ તેની ઓફિસમાં કરી તોડફોડ; પોલીસે આ મામલે પાંચ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane) જિલ્લાના અંબરનાથ (Ambernath)માં એક કથિત પ્રેમ પ્રકરણને લઈને થયેલા હુમલામાં ૨૧ વર્ષીય યુવકના મોતના પગલે ભારે તણાવ ફાટી નીકળ્યો છે. ગુસ્સે ભરાયેલા સંબંધીઓ અને સ્થાનિક લોકોએ એક કોર્પોરેટર (નગરસેવિકા) પર આરોપીઓને આશ્રય આપવાનો આક્ષેપ કરીને તેમની ઓફિસ પર પથ્થરમારો કર્યો હતો અને તોડફોડ મચાવી હતી. જો કે, કોર્પોરેટરે આ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.
પ્રેમ સંબંધને લીધે ગયો યુવકનો જીવ?
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા અનુસાર, અંબરનાથ (Ambernath Murder Case) પૂર્વના પાલેગાંવ વિસ્તારમાં બુધવારે ત્યારે માહોલ તંગ બની ગયો જ્યારે ઓમ ખોરે નામના યુવકે મુંબઈ (Mumbai)ની કેઇએમ હોસ્પિટલ (KEM Hospital)માં સારવાર દરમિયાન દમ તોડી દીધો.
ઓમ ખોરે પર ગત ૨૩ જૂનના રોજ ૫ થી ૭ લોકોના ટોળાએ ઘાતક હુમલો કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, એક યુવતીના કાકાને શંકા હતી કે ઓમ ખોરેના તેની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ છે, જેના કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો.
અંબરનાથની શિવાજીનગર પોલીસ (Shivajinagar police)એ શરૂઆતમાં આ મામલે ત્રણ લોકો સામે ગુનો નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ગુસ્સે ભરાયેલા લોકોએ કોર્પોરેટરની ઓફિસ પર કર્યો પથ્થરમારો
બુધવારે ઓમ ખોરેના મોતના સમાચાર ફેલાતા જ તેના પરિવારજનો, સંબંધીઓ અને સેંકડો સ્થાનિક લોકો રોષે ભરાઈને પોલીસ સ્ટેશન (Mumbai Police) તરફ કૂચ કરી હતી. પોલીસ સ્ટેશન જતી વખતે, ઉશ્કેરાયેલા ટોળામાંથી કેટલાક લોકોએ પાલેગાંવ (Palegaon)માં એક રાષ્ટ્રીય પક્ષના મહિલા કોર્પોરેટરની ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તોડફોડ કરી.
મૃતકના સંબંધીઓનો આરોપ છે કે, આ કોર્પોરેટરે આરોપીઓને બચાવ્યા હતા અને તેમને પોલીસ કાર્યવાહીથી બચવામાં મદદ કરી હતી.
બીજી તરફ, કોર્પોરેટરે આ ગુનામાં સામેલ હોવાના કે ગુનેગારોને મદદ કરવાના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને તેમની ઓફિસ પર હુમલો કરનારાઓ સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે.
તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ, ઓમ ખોરેના પરિવારજનોએ જ્યાં સુધી આ ઘટનામાં સામેલ તમામ આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ સ્વીકારવાનો કે તેને ત્યાંથી ખસેડવાનો ઇનકાર કરી દીધો હતો. ભોગ બનનારના સંબંધીઓનો દાવો છે કે તેઓએ શરૂઆતમાં પોલીસને સાત નામ આપ્યા હતા, પરંતુ માત્ર પાંચ લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (DCP) સચિન ગોરેએ જણાવ્યું કે, આ મામલે સંદીપ ગાવલી, રવિ પરમાર, નયન માડવી, સચિન પાટીલ અને રાજ દેસેકર નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને બાકીના ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે જણાવ્યું છે કે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને આ મામલે આગળની તપાસ ચાલી રહી છે.
