શિવસેનાને ૮-૧૦ બેઠકો આપીને ૧૪૦ બેઠકો પર BJP પોતે લડશે, મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો સાથે ઝંપલાવશે
પ્રતીકાત્મક તસવીર
નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૧૫૧ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ૩૦૦ જેટલા ઉમેદવારોને તૈયાર રહેવા સૂચના મળી હોવાનું જાણવા મળ્યું હતું. ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસના હોમગ્રાઉન્ડમાં પણ અંતિમ ઘડી સુધી BJPએ ઉમેદવારો ફાઇનલ નહોતા કર્યા અને ઘણી બેઠકો પર એકથી વધારે મજબૂત દાવેદારો હોવાથી પાર્ટીએ છેલ્લા દિવસે ૩૦૦ કાર્યકરોને તેમનાં ઉમેદવારીપત્રક અને દસ્તાવેજો સાથે તૈયાર રહેવાની સૂચના આપી દીધી હોવાના અહેવાલો આવ્યા હતા.
સ્થાનિક BJP નેતાઓએ એવી માહિતી આપી હતી કે ઉમેદવારી ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. BJP નાગપુરમાં ઓછામાં ઓછી ૧૪૦ બેઠકો પર ચૂંટણી લડે એવી શક્યતા છે. એટલે એકનાથ શિંદેની શિવસેનાને અહીં ફક્ત ૮થી ૧૦ બેઠકથી સંતોષ માનવો પડશે એવી ચર્ચા છે.
ADVERTISEMENT
મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો નાગપુરમાં સાથે મળીને ચૂંટણી લડી શકે એવા પણ અહેવાલો સામે આવ્યા હતા. એ માટે સીટ-શૅરિંગની ફૉર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ હોવાનું કહેવાય છે. કૉન્ગ્રેસ ૧૨૯, શરદપવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP-SP) ૧૨ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ૧૦ બેઠક પર લડશે એવી ચર્ચા છે.


