ગેટવે ઑફ ઇન્ડિયા પર પાંચ જેટી છે જેમાંથી જેટી-નંબર એકથી ૪ સામાન્ય પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્ર સરકાર ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે પ્રવાસીઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એક આધુનિક જેટી વિકસાવવાની યોજના બનાવી રહી છે એમ પોર્ટ્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર નિતેશ રાણેએ જણાવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે સાઉથ મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર જેટી-નંબર પાંચ સંબંધિત પરવાનગીઓ, ટૅરિફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફ્ટીને લગતા મુદ્દાઓ પણ કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યા છે એમ નિતેશ રાણેએ બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું.
ગેટવે ઑફ ઇન્ડિયા પર પાંચ જેટી છે જેમાંથી જેટી-નંબર એકથી ૪ સામાન્ય પ્રવાસીઓ દ્વારા ઉપયોગમાં લેવાય છે અને એનું સંચાલન મુંબઈ પોર્ટ ટ્રસ્ટ કરે છે. જેટી-નંબર પાંચનો ઉપયોગ મુખ્યત્વે પ્રાઇવેટ અને મોટી યૉટ્સ માટે કરવાનો પ્રસ્તાવ છે જેનાથી અન્ય જેટીઓ પર ભીડ ઓછી થવાની અપેક્ષા છે. રાજ્યએ ૧૬ ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઑફ પોર્ટ્સ, શિપિંગ ઍન્ડ વૉટરવેઝને પત્ર લખીને ટૅરિફ સ્ટ્રક્ચરને રિવ્યુ કરવાની માગણી કરી હતી.
