MNSના પ્રેસિડન્ટ રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખ્યો એમાં ગંભીર આરોપ કર્યા અને આ ગોરખધંધાના તાર ઊંચે સુધી હોવાનો દાવો કરીને તપાસ કરવા જણાવ્યું
ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના કાર્યક્રમમાં બોલતા રાજ ઠાકરે.
અયોધ્યાના રામ મંદિરમાં દાનમાં અપાયેલા પૈસાની ઉચાપતનો મુદ્દો હજી ગાજે છે ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેએ મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં આપવામાં આવતા દાનમાંથી દર વર્ષે ૧૮ કરોડ રૂપિયાની ઉચાપત થતી હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે. આ મામલે રાજ ઠાકરેએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને આ દિશામાં યોગ્ય પગલાં લેવા પણ જણાવ્યું છે. આખા કૌભાંડના તાર મોટા પદ પર બેઠેલા લોકો સુધી પહોંચતા હોવાનો દાવો પણ રાજ ઠાકરેએ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ મહિનામાં સિદ્ધિવિનાયક મંદિરમાં દાનપેટીમાંથી એના જ સ્ટાફ-મેમ્બર દ્વારા પૈસા ઉપાડવામાં આવતા હોવાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં ઝડપાયું હતું. આ વાત ધ્યાનમાં આવતાં મંદિરના કર્મચારીએ દાદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દાદર પોલીસે આ મામલે મંદિરના ૮ કર્મચારીઓની ધરપકડ કરી હતી.
રાજ ઠાકરેએ લખ્યો આ પત્ર
આ એક પત્ર છે એકનાથ શિંદેને. વિષય છે સિદ્ધિવિનાયક મંદિરમાં અપાતા દાનની ચોરી બાબતનો. આપણે મંદિરમાં શ્રદ્ધાભાવથી જઈએ છીએ, દાન આપીએ છીએ, ધર્મ માટે આપીએ છીએ. ત્યાંના જ કર્મચારીઓ ચોરી કરતા પકડાયા છે. આ કર્મચારીઓ પકડાયા એ પહેલાં બુધવારે દાનની રકમની ગણતરી થતી ત્યારે એ પચાસ લાખ રૂપિયાની અંદર જ હતી. હવે દર અઠવાડિયે દાનમાં અપાતી રકમ દોઢ કરોડ રૂપિયા જેટલી થાય છે. એટલે કેટલી બધી રકમ ચોરી થઈ થાય છે એની ગણતરી કરી શકાય છે. દર વર્ષે લગભગ ૧૮ કરોડ રૂપિયાની ઉચાપત થાય છે. આ મામલાના તાર ઊંચા પદ પર બેઠેલા લોકો સુધી જોડાયેલા છે. આ મામલે તપાસ કરો. વરિષ્ઠ અધિકારીઓની તપાસ કરો.
