Ladki Bahin Yojana: `લાડકી બહેન યોજના` અંતર્ગત જે મહિલાઓને આર્થિક લાભ મળી ચૂક્યો છે અને બાદમાં તેઓ તપાસ દરમિયાન અપાત્ર સાબિત થઈ છે, તેમની પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલાત કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી છે
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government)ની મહત્વકાંક્ષી `માઝી લાડકી બહેન યોજના` (Majhi Ladki Bahin Yojana) અંતર્ગત મોટા પાયે હાથ ધરવામાં આવેલી ચકાસણી (વેરિફિકેશન) ઝુંબેશ બાદ આ યોજના હાલ ભારે ચર્ચામાં છે. આ તપાસ દરમિયાન લાખો એવા લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી છે, જેઓ કથિત રીતે આ યોજનાના પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા નહોતા અને અપાત્ર સાબિત થયા છે. આ ખુલાસા બાદ સામાન્ય જનતા અને લાભાર્થીઓમાં એ ચિંતા ઊભી થઈ હતી કે શું આવા અપાત્ર ઠરેલા લોકો પાસેથી અત્યાર સુધી મેળવેલી આર્થિક સહાયની રકમ સરકાર પરત ખેંચશે? આ આશંકાઓ અને સવાલો વચ્ચે હવે ખુદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જે મહિલાઓને યોજના અંતર્ગત માનદ વેતન (સહાયની રકમ) મળી ચૂકી છે અને ત્યારબાદ તપાસમાં તેઓ અપાત્ર જાહેર થઈ છે, તેવી મહિલાઓ પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલાત (રિકવરી) કરવામાં આવશે નહીં. સરકારના આ નિર્ણયથી અપાત્ર જાહેર થયેલી લાખો મહિલાઓને મોટી રાહત મળી છે.
અપાત્ર ઠરેલી મહિલાઓ પાસેથી વસૂલાત નહીં થાય
ADVERTISEMENT
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે, `માઝી લાડકી બહેન યોજના` અંતર્ગત જે મહિલા લાભાર્થીઓને માનદ વેતન (સહાયની રકમ) મળી ચૂકી છે અને બાદમાં તેઓ તપાસમાં અપાત્ર સાબિત થઈ છે, તેમની પાસેથી કોઈ પણ પ્રકારની વસૂલાત કરવામાં આવશે નહીં.
લાભાર્થીઓની ચાલી રહેલી ચકાસણી (વેરિફિકેશન) પ્રક્રિયાનો બચાવ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ‘આ કવાયત કરવી ખૂબ જ જરૂરી હતી. જો અપાત્ર લાભાર્થીઓને સહાય ચૂકવવાનું ચાલુ રાખવામાં આવ્યું હોત, તો સરકારને ભવિષ્યમાં ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) તરફથી આકરા વાંધાઓનો સામનો કરવો પડ્યો હોત.’
સરકારે સમજાવ્યું વેરિફિકેશન પ્રક્રિયાનું ગણિત
બીજી તરફ, મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે (Aditi Tatkare)એ આ મામલે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘યાદીમાંથી બહાર કરાયેલા આશરે ૮૦ લાખ લાભાર્થીઓનું કારણ માત્ર ઈ-કેવાયસી (e-KYC) પૂર્ણ ન થવું એટલું જ નથી. આ આંકડામાં એવી મહિલાઓ પણ સામેલ છે જેઓ યોજના માટે નક્કી કરાયેલી વય મર્યાદા વટાવી ચૂકી છે અથવા તો જેઓ સરકારની અન્ય યોજનાઓ હેઠળ પહેલેથી જ નાણાકીય લાભો મેળવી રહી છે.’
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વધુમાં ઉમેર્યું હતું કે, ‘જ્યારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે સરકારે જાહેરાત કરી હતી કે શરૂઆતમાં સેલ્ફ-સર્ટિફિકેશન (સ્વ-પ્રમાણીકરણ) ના આધારે જ ચૂકવણી કરવામાં આવશે અને દસ્તાવેજોની વિગતવાર ચકાસણી પછીથી હાથ ધરવામાં આવશે. જો અમે પહેલા વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરી હોત, તો આખી યોજના લાગુ કરવામાં એક આખું વર્ષ નીકળી ગયું હોત. તેથી, અમે મહિલાઓએ તેમની અરજીઓમાં આપેલી માહિતીને સાચી માનીને તમામ અરજદારોને આ યોજનાનો લાભ આપ્યો હતો.’
ડેટા વેરિફિકેશન દરમિયાન સામે આવી મોટી ગેરરીતિઓ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, જ્યારે સરકારે અલગ-અલગ સરકારી ડેટાબેઝ દ્વારા માહિતીની ક્રોસ-ચેકિંગ (ચકાસણી) શરૂ કરી, ત્યારે ઘણી મોટી ગેરરીતિઓ અને વિસંગતતાઓ સામે આવી હતી.
આ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આશરે ૧૪,૦૦૦ પુરુષોએ મહિલાઓના નામે `માઝી લાડકી બહેન યોજના` આ યોજનામાં અરજી કરી દીધી હતી.
આ ઉપરાંત, કેટલાક સરકારી કર્મચારીઓ પણ લાભાર્થીઓની યાદીમાં જોવા મળ્યા હતા.
ડેટા તપાસતા આશરે ૧૦ લાખ એવી મહિલાઓ આઈડેન્ટિફાય થઈ હતી જેઓ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરે છે.
જ્યારે અન્ય ૪ થી ૫ લાખ મહિલાઓ પોતાની અંગત કાર (ફોર વ્હીલર) ધરાવતી હોવાનું સામે આવ્યું હતું.
વારંવાર રીમાઇન્ડર આપવા છતાં જે લાભાર્થીઓએ પોતાનું કેવાયસી (KYC) પૂર્ણ કર્યું ન હતું, તેમને આખરે અપાત્ર જાહેર કરવામાં આવ્યા છે અને તેમના માનદ વેતનની ચૂકવણી તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે.
