મુંબઈમાં પહેલી એપ્રિલથી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા, મરાઠવાડા, વિદર્ભમાં યલો અલર્ટ
તડકામાં રાહત આપતાં વાદળો સાથે મુંબઈમાં ભેજ વધ્યો હતો. તસવીર: આશિષ રાજે
છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને હીટવેવની ગંભીર ચેતવણીઓનો સામનો કરી રહેલા મુંબઈગરાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન ખાતાની આગાહી મુજબ આવતા અઠવાડિયે મુંબઈના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે અને સતત વધતા તાપમાનમાં ઘટાડો નોંધાશે. ગઈ કાલે પણ મુંબઈના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. હવામાં ભેજ ૭૦ ટકા નોંધાયો હતો.
મંગળવારથી મુંબઈમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે છૂટાછવાયાં ઝાપટાં પડી શકે છે જે એપ્રિલના શરૂઆતના દિવસો સુધી ચાલુ રહેવાની ધારણા છે. વાતાવરણમાં આ પરિવર્તનને કારણે દિવસના તાપમાનમાં પણ ઘટાડો થશે. માર્ચમાં ગરમીના રેકૉર્ડ નોંધાવ્યા બાદ હવે એપ્રિલમાં મહત્તમ તાપમાન ઘટીને ૩૧ ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર થવાની શક્યતા છે.
ADVERTISEMENT
મુંબઈ, પાલઘર અને થાણે માટે હજી સુધી કોઈ અલર્ટ જાહેર કરવામાં આવી નથી, પરંતુ મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભના અન્ય ભાગોમાં પહેલી એપ્રિલ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની યલો અલર્ટ આપવામાં આવી છે.
હવામાનશાસ્ત્રીઓના મતે અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આવા બદલાવ ક્યારેક પ્રી-મૉન્સૂન તબક્કાની શરૂઆત સૂચવે છે. મહારાષ્ટ્ર સહિત મધ્ય અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથેના આ વરસાદને કારણે ગરમીમાં ઘટાડો થઈ શકે છે.
