પાકિસ્તાની શહઝાદ ભટ્ટીની સાથે સોશ્યલ મીડિયામાં સંપર્ક ધરાવતા લોકોની પૂછપરછ શરૂ કરી ૧૪ ટીમે : થાણે, કુર્લા, બાંદરા, જોગેશ્વરી, નવી મુંબઈ, મીરા રોડ, ભાઈંદર સહિત રાજ્યનાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા
ભારતના યુવાનોને ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટી કરવા ઉશ્કેરનારો આરોપી શહઝાદ ભટ્ટી
સોશ્યલ મીડિયા દ્વારા પાકિસ્તાનની સરકારી જાસૂસી સંસ્થા ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI)ના હૅન્ડલર શહઝાદ ભટ્ટીના સંપર્કમાં આવેલા લોકોની તપાસના ભાગરૂપે મહારાષ્ટ્રની ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS)એ રાજ્યભરમાં ૧૧૨ લોકોની ઓળખી કાઢ્યા છે અને શંકાસ્પદ ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટીઝ વિશે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. શુક્રવારે સવારે ૭ વાગ્યે ATSનાં ૧૪ યુનિટ દ્વારા એકસાથે તપાસ અને પૂછપરછ શરૂ થઈ હતી. શહઝાદ ભટ્ટી યુવાનોને ઍન્ટિ-નૅશનલ ઍક્ટિવિટીઝમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવા માટે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યો હતો એવી શંકાના આધારે ATS દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસના સંદર્ભમાં થાણે, કુર્લા, બાંદરા, જોગેશ્વરી, નવી મુંબઈ, મીરા રોડ, ભાઈંદર, સાંગલી, સાતારા અને છત્રપતિ સંભાજીનગરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
