આશિષ શાહે જણાવ્યું હતું કે જૈન સમુદાયના સર્વાંગી વિકાસમાં સદાય સક્રિય રહેવા બદલ સંગઠન તરફથી મંગલ પ્રભાત લોઢાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
મંગલ પ્રભાત લોઢાને ‘જૈન રત્ન’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભગવાન મહાવીર અને જૈન તીર્થંકરોના અહિંસા, સદ્ભાવના અને વૈશ્વિક ભાઈચારાના સંદેશ સાથે ગઈ કાલે દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક વિસ્તારમાંથી નીકળેલી ઐતિહાસિક રથયાત્રાથી સમગ્ર દક્ષિણ મુંબઈ ભક્તિ અને અધ્યાત્મના રંગે રંગાઈ ગયું હતું. રથયાત્રાને લીલી ઝંડી દેખાડીને ઉદ્ઘાટન કરનારા કૅબિનેટપ્રધાન મંગલ પ્રભાત લોઢાને શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન વતી હજારો ભક્તો અને સંતોની હાજરીમાં ‘જૈન રત્ન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંગઠનના વરિષ્ઠ અધિકારી આશિષ શાહે જણાવ્યું હતું કે જૈન સમુદાયના સર્વાંગી વિકાસમાં સદાય સક્રિય રહેવા બદલ સંગઠન તરફથી મંગલ પ્રભાત લોઢાને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સન્માન સ્વીકારતી વખતે મંગલ પ્રભાત લોઢાએ આ પુરસ્કાર એકતા તથા ભાઈચારાને સ્વીકારનારા જૈન ભાઈઓને સમર્પિત કર્યો હતો. દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે સામાજિક એકતા જરૂરી છે અને જૈન સમુદાયની રથયાત્રા રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે એમ તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે કબૂતરખાનાનો પ્રશ્ન જૈન સમુદાયની ભાવનાઓ સાથે જોડાયેલો છે અને સમુદાયની ઇચ્છા છે કે મુંબઈમાં કબૂતરખાનું બને જેના માટે હું સતત પ્રયત્નશીલ રહીશ.
ADVERTISEMENT
રથયાત્રામાં ઊમટેલી જનમેદની.
આ ઐતિહાસિક રથયાત્રા દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક સંકુલથી શરૂ થઈ હતી. ભગવાન મહાવીરની ૨૦ ફુટ ઊંચી પ્રતિમાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શાંતિ, ભક્તિ અને એકતાનો સંદેશ આપતી આ રથયાત્રામાં ૨૦૦થી વધુ જૈન સંઘોએ ભાગ લીધો હતો. પૂજ્ય સાધુઓ અને સાધ્વીઓના જિનવાણી ઉપદેશથી સમગ્ર દક્ષિણ મુંબઈ વિસ્તાર ભક્તિમય બની ગયો હતો. આદિવાસી, કચ્છી, મણિપુરી અને કેરલાના સાંસ્કૃતિક નૃત્ય-પ્રદર્શને વાતાવરણને મનોહર બનાવ્યું હતું.
રથયાત્રામાં ૨૪ તીર્થંકરોની પ્રતિમાઓ અને પંચાવનથી વધુ ફિલ્મો જૈન સમાજના સદ્ભાવનાના સિદ્ધાંતો દર્શાવી રહી હતી. ૧૫ સંગીતવાદ્યોએ ભક્તિસંગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. છેલ્લાં પાંચ વર્ષથી શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા આ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં જૈન ભક્તો ખૂબ જ ભક્તિભાવથી ભાગ લે છે એમ સંસ્થાના અધિકારી મુકેશ જૈને જણાવ્યું હતું.
ભગવાન મહાવીરસ્વામીના ૨૫૫૧મા નિર્વાણ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સી. પી. ટૅન્કથી શરૂ થયેલી આ ભક્તિયાત્રા ગોવાલિયા ટૅન્ક પરિસરમાં હજારો ભક્તોની હાજરીમાં પૂરી થઈ હતી. જૈન સમુદાયમાં સામૂહિક રથયાત્રાનું ખૂબ મહત્ત્વ છે અને એને સતત આધ્યાત્મિક અને ભાવનાત્મક ઊર્જાનો સ્રોત માનવામાં આવે છે. સંગઠનના વીરેન્દ્ર શાહ, ઘેવરચંદ બોહરા, નીતિન વોરા, રાકેશ શાહ, જયેશ લબ્ધી, સુધીર કમલ કિશોર તાતેડ અને અન્ય અધિકારીઓએ આ કાર્યક્રમને સફળ અને અવિસ્મરણીય બનાવવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

