Mumbai Weather Updates: મુંબઈ, થાણે અને પાલઘર માટે હવામાન વિભાગે આજે `યલો એલર્ટ` જાહેર કર્યું છે, સમગ્ર વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી; મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનો સંગ્રહ ક્ષમતાના લગભગ ૯૦ ટકા સુધી પહોંચ્યો
ફાઇલ તસવીર
ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department) એ ગુરુવાર, ૧૩ ઓગસ્ટના રોજ મુંબઈ (Mumbai), થાણે (Thane) અને આસપાસના દરિયાકાંઠાના જિલ્લાઓ માટે `યલો એલર્ટ` (Yellow alert in Mumbai Today) જાહેર કર્યું છે, જેમાં સમગ્ર વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કોંકણ (Konkan) પટ્ટા પર સક્રિય ચોમાસાની સ્થિતિને કારણે દિવસભર સતત વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં દિવસનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૨૬ ડિગ્રીની આસપાસ રહેવાની ધારણા છે.
કોંકણ વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
ADVERTISEMENT
મુંબઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (Regional Meteorological Centre - RMC) ના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર (Maharashtra)માં ચોમાસું સક્રિય રહેવાને કારણે મુંબઈ, થાણે અને પાલઘર (Palghar) માં વાદળછાયું વાતાવરણ અને સમયાંતરે વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ જિલ્લાઓ યલો એલર્ટ હેઠળ છે, જ્યારે પાડોશી રાયગઢ (Raigadh) જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે વધુ કડક એડવાઇઝરી જારી કરવામાં આવી છે.
હવામાનશાસ્ત્રીઓ સૂચવે છે કે, વીકએન્ડ તરફ જતાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઓછી થશે; શુક્રવારે મધ્યમ અને શનિ-રવિવાર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. જોકે, પીક અવર્સ દરમિયાન નીચાણવાળા શહેરી વિસ્તારોમાં ક્ષણિક પાણી ભરાવા અને મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક ધીમો પડવાની સંભાવના છે.
મુસાફરો અને દરિયાઈ માછીમારો માટે એડવાઇઝરી જારી
હવામાનની ચેતવણીને ધ્યાનમાં રાખીને, પાલિકા (BMC) સત્તાવાળાઓએ નાગરિકોને મુસાફરી કરતા પહેલા ટ્રાફિકની સ્થિતિ ચકાસવા અને ભારે વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપી છે. લોકોને સત્તાવાર હવામાન બુલેટિન દ્વારા અપડેટ રહેવા અને વિજળીના કડાકા-ભડાકા વખતે જોખમી માળખાં કે વૃક્ષો નીચે આશ્રય ન લેવા વિનંતી કરવામાં આવી છે.
આ ઉપરાંત, હવામાન એજન્સીઓએ માછીમારોને મહારાષ્ટ્રના દરિયાકાંઠે તોફાની પવનો અને કરંટ હોવાને કારણે દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. મહાનગરપાલિકાની ઇમરજન્સી ટીમો અને વોર્ડ કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન એકમોને વિસ્તારમાં પાણી ભરાવાના કે ઝાડ પડવાની ઘટનાઓ સામે તાત્કાલિક કામગીરી કરવા એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ચોમાસું સક્રિય રહેતાં મુંબઈના જળાશયોમાં પાણીનું સ્તર ૯૦ ટકાની નજીક પહોંચ્યું
સતત થઈ રહેલા વરસાદને કારણે મુંબઈ શહેરના પીવાના પાણીના અનામત જથ્થામાં વધારો થયો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના ડેટા અનુસાર, મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયો—ભાતસા, અપર વૈતરણા, મિડલ વૈતરણા, તાનસા, મોદક સાગર, તુલસી અને વિહારમાં કુલ ઉપયોગી પાણીનો સંગ્રહ ક્ષમતાના ૮૯.૪૯ ટકા સુધી પહોંચી ગયો છે.
મહાનગરપાલિકાના અધિકારીઓએ નોંધ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં કેચમેન્ટ વિસ્તારોમાં થયેલા સતત વરસાદને કારણે પૂરતો પાણીનો જથ્થો જમા થયો છે, જેનાથી આગામી મહિનાઓ માટે શહેરની પાણી પુરવઠા અંગેની ચિંતાઓમાં મોટો ઘટાડો થયો છે.
