ફી કે અન્ય વસ્તુઓના ભાવ પર નિર્ણય લેવા પહેલાં પેરન્ટ્સ સાથે ચર્ચા પણ કરવામાં આવતી નથી
રાજેશ જૈન
૫૧ વર્ષના કાલબાદેવીના ક્લૉથ મર્ચન્ટે શિક્ષણવિભાગમાં બદલાવની ખાસ્સી જરૂરિયાતની સાથે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા થઈ રહેલી લૂંટ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ભારતમાં સ્કૂલોમાં બે બાળકોને ભણાવવાં અને હાયર સ્ટડી કરાવવી સામાન્ય પરિવારને પરવડી શકે એમ નથી એમ જણાવતાં રાજેશ જૈન કહે છે, ‘ભારતનાં બાળકો જયારે ભારતમાં જ શિક્ષણ લેશે તો દેશની પ્રગતિ થશે. એટલે શિક્ષણ વિભાગમાં ભરપૂર બદલાવ લાવવાની જરૂર છે. એમાં ખાસ કરીને પ્રાઇવેટ સ્કૂલો ફીમાં આડેધડ વધારો કરે છે; દર મહિને કોઈ ને કોઈ પ્રોગ્રામ માટે ફી મગાવે છે, ડ્રેસ, બુક્સ, શૂઝ વગેરે તેમના ભાવે સ્કૂલમાંથી જ લેવાનું કહે છે. ઘરખર્ચ કરતાં એક બાળકને અભ્યાસ કરાવવો મુશ્કેલ છે. સરકારે આના માટે કંઈ કરવું જોઈએ, કારણ કે પેરન્ટ્સ સ્કૂલોની મનમાનીથી ત્રસ્ત થઈ ગયા છે. સ્કૂલને કોઈ સવાલ પૂછવા જઈએ તો રિઝલ્ટ આપવામાં આવતું નથી. ફી કે અન્ય વસ્તુઓના ભાવ પર નિર્ણય લેવા પહેલાં પેરન્ટ્સ સાથે ચર્ચા પણ કરવામાં આવતી નથી અને સીધી ફી લખીને આપી દે છે. પ્રાઇવેટ સ્કૂલો પર કડક નિયમો લાદવા પણ જરૂરી છે.’