કલ્યાણના આધેડની આત્મહત્યાના બે મહિના પછી કારણ સામે આવ્યું
પ્રતીકાત્મક તસવીર
કલ્યાણમાંથી સાઇબર બ્લૅકમેઇલનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ૪૫ વર્ષની એક વ્યક્તિએ વારંવાર તેમના અશ્લીલ ફોટો વાઇરલ કરવાની ધમકી મળ્યા બાદ આત્મહત્યા કરી હતી. તપાસ દરમ્યાન પોલીસે તેના મોબાઇલ ફોન અને ઈ-મેઇલ રેકૉર્ડની તપાસ કર્યા પછી લગભગ બે મહિના પછી મૃત્યુ પાછળનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું હતું.
કોલસેવાડી પોલીસ-સ્ટેશનના પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘વિઠ્ઠલવાડીના ૪૫ વર્ષના આધેડે લગભગ બે મહિના પહેલાં કૈલાસનગરના તેમના ઘરમાં સ્કાર્ફનો ઉપયોગ કરીને છતના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. ઘટના સમયે પરિવાર તેમના આ અંતિમ પગલા પાછળનું કારણ સમજી શક્યો નહોતો, જેને કારણે તેઓ વિમાસણમાં હતા. એ પછી તેમના મોટા ભાઈએ પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે આ મામલાની વિગતવાર તપાસ શરૂ કરી હતી.
આત્મહત્યા પહેલાં નાણાકીય તકલીફ
ADVERTISEMENT
પોલીસતપાસ દરમ્યાન આધેડના એક મિત્રએ પરિવારને જાણ કરી કે તે તાજેતરમાં તાત્કાલિક બે લાખ રૂપિયાની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પૈસા માટે કોઈ પ્રકારની સાઇબર છેતરપિંડીમાં ફસાઈ ગયા હોવાની શંકાને કારણે પરિવારે તેમના મોબાઇલ ફોન અને ઈ-મેઇલ અકાઉન્ટ્સ તપાસ્યાં તો જાણવા મળ્યું કે કોઈ અજાણી વ્યક્તિએ આધેડના અશ્લીલ ફોટો બનાવ્યા હતા અને તેમને બ્લૅકમેઇલ કરવા ઈ-મેઇલ દ્વારા ધમકી મોકલી હતી.
આરોપીઓએ કથિત રીતે ધમકી આપી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો તે ફોટો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર સર્ક્યુલેટ કરશે. પ્રતિષ્ઠાને નુકસાન થવાના ડરથી આધેડે ગંભીર માનસિક તનાવમાં આવીને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવે છે.
