Thane shocker: થાણેના કાસરવડવલી સ્થિત એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ડક્ટ એરિયામાંથી ૭૨ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે; આગળની કાનૂની કાર્યવાહી માટે તેમનો મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો છે; ત્રણ કલાક ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
તસવીર સૌજન્યઃ મિડ-ડે
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (Thane Municipal Corporation) ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા અનુસાર, થાણે (Thane) ના કાસરવડવલી (Kasarvadavali) વિસ્તારમાં શુક્રવારે સવારે એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના ડક્ટ એરિયામાં લાકડાના પ્લેટફોર્મ પરથી ૭૨ વર્ષીય વૃદ્ધનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આ ઘટના ૭ ઓગસ્ટના રોજ સવારે ૭:૫૯ વાગ્યે થાણે (વેસ્ટ) ના ઘોડબંદર રોડ પર વેદા ટાવર સામે, શ્રીપાર્થ સોસાયટી નજીક આવેલી તારંગણ સોસાયટીમાંથી સામે આવી હતી.
ADVERTISEMENT
ત્રણ કલાકના ઓપરેશન બાદ મૃતદેહ બહાર કઢાયો
મૃતકની ઓળખ ૭૨ વર્ષીય વિદ્યાસાગર એમ. વી. તરીકે થઈ છે, જેઓ ગ્રાઉન્ડ પ્લસ ૨૩ માળની તારંગણ સોસાયટી બિલ્ડિંગના ૧૪મા માળે ફ્લેટ નંબર ૧૪૦૪ માં રહેતા હતા.
ટીએમસી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (TMC Disaster Management Cell) અનુસાર, તેઓ બિલ્ડિંગના ડક્ટ એરિયામાં બનાવેલા લાકડાના પ્લેટફોર્મ પર લટકતી હાલતમાં મળ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, તેમણે લાકડાના માળખા સાથે બેડશીટ બાંધીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને કાસરવડવલી પોલીસ સ્ટેશનના જવાનોએ આશરે ત્રણ કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને ઊંચાઈ પર આવેલા પ્લેટફોર્મ પરથી મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો.
સત્તાવાર કાર્યવાહી માટે મૃતદેહ હોસ્પિટલ ખસેડાયો
ઓપરેશન દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, કાસરવડવલી પોલીસ સ્ટેશન અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે બ્રોન્ટો સ્કાયલિફ્ટ, એક ફાયર એન્જિન અને રેસ્ક્યૂ વાહન તૈનાત કર્યું હતું, જ્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલે એક પિકઅપ વાહન અને શબવાહિની મોકલી હતી.
રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થયા બાદ મૃતદેહ કાસરવડવલી પોલીસને સોંપવામાં આવ્યો હતો અને બાદમાં આગળની કાનૂની અને તબીબી કાર્યવાહી માટે થાણે જિલ્લા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મુમ્બ્રામાં બિલ્ડિંગના પિલરમાં તિરાડો પડતાં અને પ્લાસ્ટર તૂટી પડતાં ખાલી કરાવાયું
અન્ય એક ઘટનામાં, ૧ ઓગસ્ટના રોજ થાણેના મુમ્બ્રા (Mumbra) વિસ્તારમાં એક બિલ્ડિંગના સ્લેબનું પ્લાસ્ટર ખરી પડ્યું હતું અને પિલરમાં માળખાકીય તિરાડો દેખાતાં અધિકારીઓએ ૧૭૦ રહીશોને બહાર કાઢ્યા હતા. ભીવંડી (Bhiwandi)માં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ૧૦ લોકોના મોત થયાના એક દિવસ બાદ આ આકસ્મિક પગલું ભરવામાં આવ્યું હતું.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ (RDMC) ના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે, ચાંદનગરમાં સાનિયા હોલ નજીક આવેલી ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની `ધૂમ એપાર્ટમેન્ટ` બિલ્ડિંગમાં બપોરે ૩:૫૦ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
તેમણે ઉમેર્યું હતું કે, ૨૦ વર્ષ જૂની આ બિલ્ડિંગને અગાઉથી જ `C1 કેટેગરી` હેઠળ વર્ગીકૃત કરવામાં આવી હતી, જેનો અર્થ એ થાય છે કે તે અત્યંત જોખમી છે અને તેને તાત્કાલિક ખાલી કરીને તોડી પાડવી જરૂરી છે.
તડવીએ કહ્યું, ‘સ્લેબમાંથી પ્લાસ્ટર પડ્યું હતું અને બિલ્ડિંગના પિલર પર મોટી માળખાકીય તિરાડો જોવા મળી હતી, જેના કારણે બાકીનું માળખું અત્યંત જોખમી સ્થિતિમાં મુકાઈ ગયું હતું. બિલ્ડિંગના ૪૨ ફ્લેટમાંથી ૨૨ ફ્લેટમાં હાલ લોકો રહેતા હતા, જેમાં આશરે ૧૬૦ થી ૧૭૦ રહીશોનો સમાવેશ થાય છે.’
સહાયક કમિશનર વિજય કાવલે, દબાણ વિભાગના અધિકારીઓ અને મુમ્બ્રા વોર્ડ કમિટીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તમામ રહીશોને વહેલી તકે પરિસર ખાલી કરવા માટે તાત્કાલિક નોટિસ પાઠવી હતી.
અધિકારીઓએ ઉમેર્યું હતું કે મુમ્બ્રા વોર્ડ કમિટી અને TMC કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા આગળની કાનૂની અને બિલ્ડિંગ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
