મુલુંડમાં રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યમાં જ્ઞાન, ભક્તિ, સેવા અને માનવતાના સમન્વયરૂપ ઊજવાયો ધ સોલ ફેસ્ટિવલ
‘ધ સોલ ફેસ્ટિવલ’
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મુલુંડની વિનંતીનો સ્વીકાર કરીને પધારેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજસાહેબના મુલુંડનગરમાં મંગલ પદાર્પણ અવસરે ત્રિદિવસીય ‘ધ સોલ ફેસ્ટિવલ’નું આયોજન ભક્તિવાન ભાવિકો માટે એક યાદગાર સંભારણું બની ગયું હતું. ‘ધ સોલ ફેસ્ટિવલ’ અંતર્ગત ભક્તિ, જ્ઞાન, સેવા અને માનવતાપ્રેરિત વિવિધ કાર્યક્રમોમાં જોડાઈને ચતુર્વિધ સંઘ ધન્ય બન્યો હતો.
ભવ્ય જીવોને બોધ ફરમાવતાં પ્રથમ દિવસે પરમ ગુરુદેવે જીવનમાં મળતી દરેક તકનો સદુપયોગ કરીને ભવ સાર્થક કરી લેવાની પ્રેરણા આપી હતી. અન્યના દુઃખને પારખીને તેના જીવનમાં સુખનું અજવાળું બનીને પ્રસરી જવાના દ્વિતીય દિવસના બોધ સાથે તૃતીય દિવસે જિજ્ઞાસુ ભાવિકોના મનમાં ઊઠતા પ્રશ્નોનું સમાધાન આપતાં જીવનમાં વિનય ગુણને કેળવી લેવાનો બોધ આપ્યો હતો.
ઉપરાંતમાં સાંજના સમયે ગાયક કલાકાર હરિઓમ ગઢવી, જૈનમ વારિયા અને દેવાંશ દોશીના સ્વરમાં યોજાયેલી ભક્તિસંધ્યા તેમ જ પૉડકાસ્ટર જયભાઈ થાડેશ્વર તેમ જ ઉપસ્થિત ભાવિકો દ્વારા દોઢ કલાકના સમયમાં પૂછવામાં આવેલા ૭૦થી વધુ પ્રશ્નોનું જ્ઞાનવર્ધક સમાધાન આપીને પરમ ગુરુદેવે અંતરના અગાધ જ્ઞાનનાં દર્શન કરાવ્યાં હતાં.
