આ કેસમાં પોલીસે બન્ને હાઉસહેલ્પ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરમાં મહાવીર કૃપા લેનમાં આવેલી એક સોસાયટીમાં રહેતાં ૭૬ વર્ષનાં ગુજરાતી મહિલાના ઘરેથી ૨.૨૦ લાખ રૂપિયાની માલમતા તફડાવવાના આરોપસર પંતનગર પોલીસે ગઈ કાલે બે હાઉસહેલ્પ મહિલા સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડમાંથી નિવૃત્ત થયેલાં મહિલા ડિસેમ્બરમાં ઘરમાં લપસીને પડી જતાં પ્રાઇવેટ કૅરટેકર સર્વિસમાંથી તેમણે બે મહિલાઓને નોકરીએ રાખી હતી. ઘરમાં રાખેલા સોના-ચાંદીના દાગીના, કૅશ, ૩૦ સાડી તેમ જ ઘરના રૅશનની ચોરી થઈ હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે બન્ને હાઉસહેલ્પ મહિલાની પૂછપરછ હાથ ધરી છે.
શું ચોરાયું?
૧,૬૦,૦૦૦ રૂપિયાની સોનાની બંગડીઓ, ૧૦,૦૦૦ રૂપિયાની ૩૦ સાડી, ૨૫,૦૦૦ રૂપિયાની ચાંદીની પૂજાની વસ્તુઓ, ૨૦,૦૦૦ રૂપિયા રોકડા અને ૫૦૦૦ રૂપિયાનું રૅશન ચોરાઈ ગયું હોવાની ખાતરી થઈ હતી. ફરિયાદીએ બન્ને કૅરટેકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. અંતે ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.’
