અજંતાની ગુફાઓમાં છત પરથી પાણી ટપક્યું, પુરાતત્ત્વવિદોએ આપ્યો ખુલાસો
અજંતાની ગુફાઓ
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરસ્થિત વિશ્વપ્રસિદ્ધ અજંતાની ગુફાઓમાં છત પરથી લીક થઈ રહેલા પાણીને એકઠું કરવા માટે બાલદીઓ મૂકવામાં આવી હોવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. હેરિટેજ સાઇટ ગણાતી આ ગુફાઓમાં ભગવાન બુદ્ધના જીવન પર આધારિત અમૂલ્ય પ્રાચીન ચિત્રો અને શિલ્પો આવેલાં હોવાથી લીકેજ બાબતે ચિંતા પ્રસરી હતી. જોકે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)એ તાત્કાલિક સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ‘આનાથી ગુફાની અંદર આવેલા કલાત્મક વારસાને કોઈ પણ પ્રકારનું જોખમ નથી. અજંતાની ગુફાઓ કુદરતી ખડકો કોતરીને બનાવવામાં આવી છે. ભારે વરસાદના સમયે ખડકોની તિરાડો અને જગ્યાઓમાંથી પાણી નીચે ઊતરે છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને લપસી પડવાની ઘટનાઓ રોકવા માટે સાવચેતીનાં પગલાંરૂપે ત્યાં ડોલો મૂકવામાં આવી છે. આ નિતારણથી ગુફામાં રહેલાં પ્રાચીન ચિત્રો કે મૂર્તિઓને કોઈ નુકસાન પહોંચ્યું નથી અને એ સંપૂર્ણપણે સુરક્ષિત છે.’
