મુઝફ્ફરનગરમાં વકીલોની ભીતિ વચ્ચે ફાસ્ટ ટ્રૅક કોર્ટના જજ રવિકુમાર દિવાકર પાસેથી હત્યાના તમામ કેસ બીજા જજને ટ્રાન્સફર કરવામાં આવ્યા
રવિકુમાર દિવાકર
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં હત્યાના ૧૦૦ પેન્ડિંગ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાંથી અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ રવિકુમાર દિવાકરે છેલ્લા ૪ મહિનામાં ૧૦ કેસમાં બાવીસ આરોપીઓને ફાંસીની સજા ફટકારી હતી. જજના આ અત્યંત આકરા વલણના કારણે સ્થાનિક વકીલો અને અરજદારોમાં ભારે ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.
ડિસ્ટ્રિક્ટ બાર અસોસિએશનના પ્રમુખ પ્રમોદ ત્યાગીએ જણાવ્યું હતું કે વકીલોને ભીતિ હતી કે અન્ય કેસમાં પણ જજ ફાંસી ફટકારશે. આ ગંભીર બાબત ધ્યાનમાં રાખીને મંગળવારે વહીવટી આદેશ દ્વારા મહત્ત્વનો મોટો નિર્ણય લેવાયો છે. સરકારી વકીલ કુલદીપ કુમારે જણાવ્યું કે ફાંસી કે આજીવન કેદની જોગવાઈ ધરાવતા ૧૦૦ કેસ જજ રવિકુમાર પાસેથી લઈને ડિસ્ટ્રિક્ટ ઍન્ડ સેશન્સ જજ વીરેન્દ્ર કુમાર સિંહની કોર્ટમાં મોકલાયા છે.
