Air India Express flight to Jeddah returns: કન્નૂરથી જેદ્દાહ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ; હવામાં ૧૮ ચક્કર માર્યા બાદ વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું; ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા થઈ હતી તકલીફ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એર ઈન્ડિયા (Air India)ની વધુ એક ફ્લાઇટનું ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ વખતે એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express)ની કન્નૂર (Kannur)થી જેદ્દાહ જઈ રહેલી ફ્લાઇટમાં ખામી સર્જાતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા હતા.
કન્નૂરથી જેદ્દાહ જઈ રહી હતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ
ADVERTISEMENT
કેરળ (Kerala) ના કન્નૂરથી સાઉદી અરેબિયા (Saudi Arabia)ના જેદ્દાહ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટના મુસાફરોને મંગળવારે ભારે ગભરાટ અને ચિંતાનો સામનો કરવો પડ્યો હતો. કારણકે, ઉડાન ભર્યાની થોડી જ વારમાં વિમાનમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા સેવાઈ હતી. આ ગંભીર પરિસ્થિતિને જોતા ક્રૂ મેમ્બર્સે વિમાનને તાત્કાલિક કન્નૂર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન પાછું લાવવાનો નિર્ણય (Air India Express flight to Jeddah returns) કર્યો હતો.
ઉડાન ભર્યાની માત્ર ૩૦ મિનિટમાં જ ખામી જણાઈ
કન્નૂર એરપોર્ટ પરથી સવારે આશરે ૭:૦૩ વાગ્યે ઉડાન ભરનારી આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં મુસાફરી શરૂ થયાની અડધા કલાકની અંદર જ ટેકનિકલ ખામી હોવાનું માલૂમ પડ્યું હતું. સુરક્ષાના નિર્ધારિત નિયમો અને મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પાયલટોએ જેદ્દાહ તરફ આગળ વધવાને બદલે વિમાનને કન્નૂર એરપોર્ટ પર જ પાછું વાળવાનું નક્કી કર્યું હતું.
વજન ઓછું કરવા હવામાં માર્યા ૧૮ ચક્કર
જેદ્દાહ સુધીની લાંબી સફર હોવાના કારણે વિમાનમાં ઈંધણ (ફ્યુઅલ) ખૂબ જ વધારે માત્રામાં ભરેલું હતું. આટલા ભારે વજન સાથે વિમાનનું તાત્કાલિક લેન્ડિંગ કરવું જોખમી સાબિત થઈ શકે તેમ હોવાથી, લેન્ડિંગ પહેલાં ઈંધણનો વપરાશ કરીને વિમાનનું વજન ઓછું કરવું જરૂરી હતું. સુરક્ષિત રીતે વજન ઘટાડવા માટે વિમાને કન્નૂર એરપોર્ટની આસપાસ આકાશમાં આશરે ૧૮ ચક્કર લગાવ્યા હતા.
છેવટે સવારે ૯:૦૦ વાગ્યે વિમાન કન્નૂર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું, જેથી વિમાનમાં સવાર તમામ ૧૮૦ મુસાફરો અને એરપોર્ટના વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
APUમાં ખામી હોવાની આશંકા
પ્રાથમિક અહેવાલો અનુસાર, આ વિમાનમાં તાજેતરમાં જ તેના ઓક્સિલરી પાવર યુનિટ (Auxiliary power unit - APU) સંબંધિત કોઈ સમસ્યા સામે આવી હતી. જો કે, તે ખામીને સમયસર સુધારી લેવામાં આવી હતી અને વિમાનને ઉડાન માટે મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હવે ઉડ્ડયન અધિકારીઓ આ બાબતની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે કે, શું અગાઉ આવેલી એ જ ખામીના કારણે ફ્લાઇટ દરમિયાન ફરીથી આ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી કે કેમ.
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (Directorate General of Civil Aviation) સહિતના નાગરિક ઉડ્ડયન સત્તાધિકારીઓ આ ટેકનિકલ ખામીનું ચોક્કસ કારણ જાણવા માટે વિમાનની વિગતવાર તપાસ હાથ ધરશે. સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ એ સ્પષ્ટ થઈ શકશે કે આ ખામી વિમાનના લેન્ડિંગ ગીયરમાં સર્જાઈ હતી કે પછી અન્ય કોઈ ટેકનિકલ વિભાગમાં ઓપરેશનલ ખામી આવી હતી.
નોંધનીય છે કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ એ ખાડીના દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) અને કેરળ વચ્ચે હવાઈ સેવાઓ પૂરી પાડતી દેશની એક મુખ્ય એરલાઈન્સ કંપની છે. મલબાર ક્ષેત્રના પ્રવાસીઓ અને ખાસ કરીને વિદેશમાં રહેતા ભારતીયોજે ફ્લાઈટ પર સૌથી વધુ નિર્ભર રહે છે, તેની સાથે આવી ઘટના બનવાના કારણે મુસાફરોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
