ઉત્તર પ્રદેશના સહારનપુરની ઘટના, મૅનેજરની ધરપકડ, નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને તપાસ સોંપાઈ
પ્રતીકાત્મક તસવીર
નકલી નોટોના દેશના સૌથી મોટા કૌભાંડમાં નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ સોમવારે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પંજાબ નૅશનલ બૅન્ક (PNB)ના મૅનેજર અમિત કુમારની ધરપકડ કરી છે. સહારનપુરની સોફિયા માર્કેટ બ્રાન્ચની કરન્સી ચેસ્ટમાંથી ૧૭.૨૯ કરોડ રૂપિયાની નકલી નોટો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. કોઈ સ્મગલર પાસેથી નહીં પરંતુ સીધી બૅન્કની સિસ્ટમમાંથી જ નકલી નોટો મળતાં સમગ્ર બૅન્કિંગ-વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે ૭ જુલાઈએ સહારનપુરથી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના જયપુર કેન્દ્રમાં ૧૧૧ કરોડ રૂપિયા મોકલવામાં આવ્યા હતા. આ નકલી નોટો કરન્સી ચેસ્ટમાં કેવી રીતે પ્રવેશી એની સઘન તપાસ ચાલી રહી છે. તપાસ-એજન્સીઓ એ દિશામાં પણ કામ કરી રહી છે કે શું આ નકલી નોટો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે બૅન્કની અન્ય શાખાઓ અને ATMમાં વહેંચવામાં આવી હતી કે કેમ. આ ઉપરાંત આટલી જ રકમ હતી કે આ કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું એવી અનેક બાબતો પર હાલ એજન્સી તપાસ ચલાવી રહી છે.
