રોડ-ઍક્સિડન્ટ્સમાં થતાં ૬૭ ટકા મૃત્યુ બાઇકરો અને રાહદારીઓનાં હોય છે
પ્રતીકાત્મક તસવીર
સારી ગુણવત્તાની હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ૨૦૨૪માં હજારો લોકોના જીવ બચાવી શકાયા હોત એમ રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયના આંકડા જણાવે છે. રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ પામેલા ૮૧,૭૮૦ ટૂ-વ્હીલર સવારોમાંથી ૪૦ ટકાથી વધુ લોકોએ જો સારી ગુણવત્તાવાળી હેલ્મેટ પહેરી હોત તો તેઓ બચી ગયા હોત, જ્યારે કારમાં સવાર ૨૧,૯૮૮ લોકોમાંથી લગભગ અડધાં જેટલાં મૃત્યુને સીટબેલ્ટ અટકાવી શક્યા હોત.
હેલ્મેટ ન પહેરવાને કારણે તામિલનાડુમાં સૌથી વધુ ૭૭૪૪ મૃત્યુ નોંધાયાં છે. ત્યાર બાદ મહારાષ્ટ્ર (૫૯૪૬) અને મધ્ય પ્રદેશ (૫૫૪૩) આવે છે.
ADVERTISEMENT
સીટબેલ્ટ ન પહેરવાને કારણે મૃત્યુના કિસ્સામાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ ૨૮૨૬ મૃત્યુ નોંધાયાં છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ (૧૯૨૯) અને મહારાષ્ટ્ર (૧૪૨૭)નો નંબર આવે છે.
૨૦૨૪માં લગભગ ૬૭ ટકા અથવા રસ્તા પર મૃત્યુ પામેલા દર ત્રણ જણમાંથી બે ટૂ-વ્હીલર સવારો અથવા રાહદારી હતા. કુલ ૧.૨૮ લાખ ટૂ-વ્હીલર સવારો અને રાહદારીઓએ માર્ગ-અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
રોડ-અકસ્માતમાં કાર કરતાં મોટરસાઇક્લિસ્ટનાં મૃત્યુના ચાન્સ ૨૬ ગણા વધારે છે.
સારી હેલ્મેટથી સર્વાઇવલના ચાન્સ ૪૨ ટકા વધારે છે અને ઈજામાંથી ૬૯ ટકાને મદદ મળે છે.
સીટબેલ્ટથી કાર-અકસ્માતમાં બચવાના ચાન્સ ૫૦ ટકા વધી જાય છે.
પ્રમાણભૂત હેલ્મેટ અને સીટબેલ્ટ યોગ્ય રીતે પહેરવાથી માર્ગ-અકસ્માતમાં થતાં મૃત્યુના મોટા ભાગને અટકાવવાની ક્ષમતા છે. ભારતમાં આ મુદ્દે કોઈ વિશિષ્ટ અભ્યાસ થયો નથી.
ટૂ-વ્હીલરચાલકો દ્વારા બેદરકારીથી વાહન ચલાવવાને કારણે શરીરનાં અંગ ગુમાવવાના ઘણા કિસ્સા બન્યા છે.
