Operation Sindoor: Inside India’s precision strike on 9 terror camps in Pakistan and PoK, planned in secrecy with RAW inputs and PM Modi’s final approval.
તસવીર સૌજન્ય - પીટીઆઇ
કી હાઇલાઇટ્સ
- જાણો RAWએ ટાર્ગેટ આપ્યા એમાંથી ફાઇનલ યાદી કેવી રીતે બની
- ભારત હવે નિવેદન નહીં આપે પણ સામાં પગલાં લેશે તેવો સ્પષ્ટ સંદેશ
- આ બદલો નથી પણ ભારતની લાંબા સમય સુધી રહેલી નીતિના પરિવર્તનનો પુરાવો છે
પહેલગામના આતંકી હુમલાને જવાબ આપતી ભારતમાં 6-7 મેની રાતે `ઓપરેશન સિંદૂર` સફળતાપૂર્વક અમલમાં મૂકાયું. આ વિશિષ્ટ વ્હાઈટ-ઓપરેશન પાછળનું આયોજન પણ એટલું જ રોમાંચક હતું, જ્યાં 3 મેના રોજ દિલ્હીની સાઉથ બ્લોકમાં થયેલી એક હાઈ લેવલ બેઠકથી સમગ્ર પ્રક્રિયાને ગતિ મળી. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, આર્મી, નેવી અને એરફોર્સના વડાઓ હાજર રહ્યા. અહીં નિર્ણય લેવામાં આવ્યો કે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલી આતંકી છાવણીઓને નિશાન બનાવી ભારત ફરી હવાઈ હુમલો કરશે.
ત્યાર બાદ, ઓપરેશનની યોજના પર કામ કરનારા અધિકારીઓને સાઉથ બ્લોકમાં "બ્લોક" કરવામાં આવ્યા. 5 મેના રોજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ દ્વારા વડાપ્રધાન સામે આખરી પ્રસ્તાવ રજૂ કરાયો અને મંજુરી મળી. ત્યારબાદ, 6-7 મેની મધરાતે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની અંદર 100 કિમી સુધી ઘૂસી 9 આતંકી ઠેકાણાઓ પર 24 મિસાઈલોથી આકરો હુમલો કર્યો.આ ઓપરેશન માત્ર 25 મિનિટ ચાલ્યું અને એમાં આતંકવાદીઓના મહત્વના લૉંચ પેડ, તાલીમ કેન્દ્રો અને બેઝ કેમ્પ્સને ખતમ કરી દેવામાં આવ્યા. જેમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના સ્ટ્રક્ચર્સનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
RAW અને અન્ય ટેકનિકલ એજન્સીઓએ 21 ટાર્ગેટની સૂચિ આપી હતી, જેમાંથી સૌથી સંવેદનશીલ 9ને ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા. આમાંથી 4 પાકિસ્તાનમાં અને 5 પીઓકેમાં હતા.સેનાએ સ્પષ્ટ કર્યું કે ઓપરેશનનો હેતુ પાકિસ્તાની સૈન્ય સ્થાપનાને ખાત્મો કરવો નહીં, પરંતુ આતંકી માળખાને તોડવાનો છે અને વિશ્વ સમુદાયને સંદેશ આપવાનો છે કે ભારત હવે આતંકના જવાબમાં માત્ર નિવેદન નહીં, પગલાં લે છે.
ઓપરેશન બાદ, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે મીડીયા બ્રીફિંગમાં માહિતી આપી કે આ તમામ ટાર્ગેટ્સ પાછળ ભારતીય પ્રવાસીઓ પર હુમલાના પુરાવાઓ હતા. તેમણે એ પણ જણાવ્યું કે TRF,લશ્કર-એ-તોયબાનું જ કવર જૂથ છે અને આ હુમલામાં તેનો જ ઉપયોગ કરાયો હતો. તેમણે એ પણ માહિતી આપી કે લશ્કર-એ-તોયબાનું મુખ્ય તાલીમ કેન્દ્ર પીઓકેના મુઝફ્ફરાબાદ નજીકના સવાઈ નાલા વિસ્તારમાં આવેલી જગ્યા પર કાર્યરત છે. તેમણે જણાવ્યું કે સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદીઓએ આ જ કેમ્પમાં તાલીમ મેળવી હતી.સૈયદના બિલાલ કેમ્પમાં તેમને શસ્ત્રોનો ઉપયોગ અને જંગલમાં ટકી રહેવાની ટેક્નીકલ તાલીમ આપવામાં આવી હતી. કોટલીના ગુરપુર વિસ્તારમાં આવેલા લશ્કરના વધુ એક કેમ્પમાં 2023માં પૂંચમાં યાત્રાળુઓ પર હુમલો કરનાર આતંકવાદીઓએ તૈયારીઓ કરી હતી. ભીમ્બરમાં આવેલ બર્નાલા કેમ્પમાં શસ્ત્રોનું સંચાલન શીખવવામાં આવતું હતું, જ્યારે કોટલીથી 13 કિમી દૂર સ્થિત અબ્બાસ કેમ્પ આત્મઘાતી હુમલાઓ માટે આતંકવાદીઓને તૈયાર કરવાનું કેન્દ્ર હતું. અંતે તેમણે સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારત તરફ કોઈ નુકસાન થયું નથી.
વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આ કાર્યવાહી માત્ર બદલો નહીં, પણ ભારતની આંતરિક સુરક્ષા માટે જરૂરી હતી. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી આગળ વધુ હુમલાની યોજના બનાવી રહ્યા હતા, જેને અટકાવવી આવશ્યક હતી.ઓપરેશન સિંદૂર એ માત્ર તાત્કાલિક જવાબ નહીં, પણ ભારતની લાંબા ગાળાની આતંક વિરોધી નીતિને દર્શાવતું ઐતિહાસિક પગલું છે, જે 2019 બાદ પાકિસ્તાન પર સૌથી મોટો સેનાકીય પ્રતિસાદ સાબિત થયો છે.

