૪ શબ ગંડક નદીમાં તણાઈને આવ્યાં. નેપાલમાં આવેલી ભયાનક હોનારત બાદ હવે ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં મૃતદેહો વહીને આવી રહ્યા છે
પ્રતીકાત્મક તસવીર
નેપાલમાં આવેલી ભયાનક હોનારત બાદ હવે ઉત્તર પ્રદેશના સરહદી વિસ્તારોમાં મૃતદેહો વહીને આવી રહ્યા છે. રવિવારે મોટી ગંડક નદીમાં સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF)ની ટીમને વધુ ૪ શબ મળ્યાં હતાં. અત્યાર સુધીમાં કુલ ૧૭ મૃતદેહો મળી ચૂક્યા છે. કુશીનગરના છિતૌની નજીક નદીમાંથી બે મહિલા અને બે પુરુષના મૃતદેહો મળી આવ્યા છે. કુશીનગરમાં અત્યાર સુધીમાં ૧૩ અને મહારાજગંજમાં ૪ મૃતદેહ મળી આવ્યા છે જે તમામને સુરક્ષિત રીતે મૉર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
મહારાજગંજમાંથી મળેલાં ૪ શબનું પૉસ્ટમૉર્ટમ અને ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) સૅમ્પલિંગ કર્યા બાદ એમને નેપાલ પોલીસને સોંપવામાં આવ્યા છે. કુશીનગરની મૉર્ચરી ફુલ થઈ જતાં બાકીનાં શબ ગોરખપુર મોકલવામાં આવ્યાં હતા. હજી સુધી એક પણ શબની ઓળખ થઈ શકી નથી. બીજી તરફ કૈલાસ-માનસરોવરની યાત્રાએ ગયેલા નેપાલના સેંકડો શ્રદ્ધાળુઓ ઘણા દિવસથી લાપતા છે. એમાં મહારાજગંજના એક પ્રધાનના સંબંધીઓ પણ સામેલ છે.
ADVERTISEMENT
નેપાલના મહાપૂરનો મરણાંક વધીને ૮૦૪ થયો, લગભગ ૨૭૪૨ લોકો અનટ્રેસેબલ
રવિવારે સત્તાવાર મૃત્યુઆંક વધીને ૮૦૪ થયો હતો અને હજી લગભગ ૨૭૪૨ લોકો અનટ્રેસેબલ છે. આ મુદ્દે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટી (NDRRMA)એ જણાવ્યું હતું કે ‘તમામ ૮ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી મૃતદેહો મળી આવ્યા છે. એમાં ચિતવનમાં સૌથી વધુ ૨૫૯ મૃતદેહો મળી આવ્યા છે. ત્યાર બાદ નવલપરાસી-પૂર્વમાંથી ૧૮૪, નવલપરાસી-પશ્ચિમમાંથી ૮૨, ગોરખામાંથી ૫૮, નુવાકોટમાંથી બાવન, ધાડિંગમાંથી પચાસ, તાનાહુમાંથી ૩૬ અને રાસુવામાંથી ૧૩ મૃતદેહો મળી આવ્યા છે. ૮૫ સુરક્ષા-કર્મચારીઓ, ૩૨૦ વિદેશી નાગરિકો સહિત કુલ ૨૭૮૨ લોકો હજી ગુમ છે, જ્યારે ૨૨૭ વિદેશીઓ સહિત ૮૧૮૬ લોકોને અત્યાર સુધીમાં બહાર કાઢવામાં આવ્યા છે.’
