પોલીસ-અધિકારી સમીર વર્માએ જણાવ્યું હતું કે ‘જ્યારે ટ્રેન ચાલવા લાગી ત્યારે બે કોચને જોડતું કપલર તૂટી ગયું હતું. આ એક અકસ્માત છે, કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ થયો નથી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
દિલ્હીથી કટરા જઈ રહેલી નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સ્પેશ્યલ ટ્રેન પંજાબમાં લુધિયાણા રેલવે-સ્ટેશન પર ગઈ કાલે સવારે અકસ્માતનો ભોગ બની હતી. આ ટ્રેનના સ્લીપર કોચનું ટૉઇલેટ અચાનક ધડાકાના અવાજ સાથે તૂટી ગયું હતું, જેને કારણે કોચ બાજુના ડબ્બાથી અલગ થઈ ગયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ડબ્બામાંથી બહાર દોડી આવ્યા હતા. વૈષ્ણોદેવી જતી આ ટ્રેનમાં ૧૨૦૦ મુસાફરો પ્રવાસ કરી રહ્યા હતા.
સદ્નસીબે ટ્રેન લુધિયાણાથી રવાના થઈ ત્યારે જ આ ઘટના બની હતી. જો આ ઘટના ટ્રેન ફુલ સ્પીડમાં હોત ત્યારે બની હોત તો મુસાફરોના જીવ જોખમમાં મુકાઈ શક્યા હોત. ઑપરેશન બ્લુસ્ટારની વરસીને કારણે પંજાબમાં પહેલેથી જ કડક સુરક્ષાવ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ટ્રેનમાં આ દુર્ઘટના થતાં પોલીસ તાત્કાલિક હાઈ અલર્ટ પર આવી ગઈ હતી. રેલવેના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ લુધિયાણાના
ADVERTISEMENT
પોલીસ-અધિકારી સમીર વર્માએ જણાવ્યું હતું કે ‘જ્યારે ટ્રેન ચાલવા લાગી ત્યારે બે કોચને જોડતું કપલર તૂટી ગયું હતું. આ એક અકસ્માત છે, કોઈ પણ પ્રકારનો વિસ્ફોટ થયો નથી.’
પંજાબમાં પિક-અપ વૅન અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં ૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યો
પંજાબના ફિરોઝપુર જિલ્લામાં ગઈ કાલે સવારે ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર એક પિક-અપ વૅન અને ટ્રેલર વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં નવ જણે જીવ ગુમાવ્યા હતા અને કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા હતા. જલાલાબાદ વિસ્તારનો એક પરિવાર એક વૃદ્ધ મહિલાના અસ્થિનું વિસર્જન કરવા જઈ રહ્યો હતો. વૅનમાં લગભગ પચીસથી ૨૮ લોકો પ્રવાસ કરતા હતા. ફિરોઝપુર-ફાઝિલ્કા રોડ પર જંગા વળાંક નજીક હુસૈનશાહ વાલા ગામ પાસે પિક અપ એક ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે વૅન સંપૂર્ણપણે નાશ પામી હતી. ત્રણ પુરુષો અને એક મહિલા સહિત ૪ જણે ઘટનાસ્થળે જ છેલ્લા શ્વાસ લીધા હતા. બાદમાં મૃત્યુઆંક વધીને ૯ થયો હતો.
રામ રાખે તેને કોણ ચાખે : બીડમાં બસ પલટી થઈ ગઈ પણ ૩૦ પૅસેન્જર્સનો થયો ચમત્કારિક બચાવ
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં નાંદેડથી પુણે જઈ રહેલી એક પ્રાઇવેટ બસને ગમ્ખવાર અકસ્માત નડ્યો હતો. જોકે આ ઘટનામાં ચમત્કારિક રીતે બસમાં બેઠેલા બધા જ પૅસેન્જર્સ હેમખેમ હતા અને ફક્ત અમુકને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યા મુજબ બસ બીડમાં કાનીફનાથ ઘાટથી પસાર થઈ રહી હતી ત્યારે એ ઊંધી વળી ગઈ હતી. પરોઢિયે ચાર વાગ્યે બનેલી આ ઘટનામાં બસના તમામ ૩૦ જણ બચી ગયા હતા. પોલીસે જણાવ્યા અનુસાર ઘાટ પર વળાંક લેતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં અકસ્માત થયો હતો. અકસ્માત થયો ત્યારે મોટા ભાગના પૅસેન્જર્સ સૂતા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિકો સાથે મળીને રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતું. ઈજાગ્રસ્ત થયેલા પૅસેન્જર્સને અહિલ્યાનગરની હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સિવાયના પૅસેન્જર્સને જ્યાં જવું હતું ત્યાં જવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરી આપવામાં આવી હતી.
