ઉદ્ધવ ઠાકરેએ આ બજેટને ખેડૂતો માટે છેતરપિંડી ગણાવતાં કહ્યું હતું કે, ‘બધાને ખબર પડશે કે કોઈના જીવનમાં કોઈ ફરક પડ્યો નથી`
ગઈ કાલે વિધાનભવનમાં ઉદ્ધવ ઠાકરે
રાજ્ય સરકારના બજેટની ટીકા કરતાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર-પરિષદ બોલાવીને તેમની આગવી શૈલીમાં કહ્યું હતું કે ‘ચૂંટણી દરમ્યાન સરકારે મારેલી ધાપની ક્લિપ હજી પણ મારા ફોનમાં છે. અમે ખેડૂતોનાં બે લાખ રૂપિયા સુધીનાં દેવાં માફ કર્યાં હતાં. આ તો જાણે લોન લઈને ફટાકડા ફોડવા જેવું બજેટ કહી શકાય. સાથે જ લાડકી બહેનોને ૨૧૦૦ રૂપિયા પણ આપ્યા નથી.’
ઉદ્ધવ ઠાકરેએ આ બજેટને ખેડૂતો માટે છેતરપિંડી ગણાવતાં કહ્યું હતું કે ‘બધાને ખબર પડશે કે કોઈના જીવનમાં કોઈ ફરક પડ્યો નથી. આ બજેટમાં તાળીઓના ગડગડાટ વધ્યા છે. શબ્દનો ખેલ રમાયો છે. શું વર્તમાન લોનમુક્તિ કે રાહત ૨૦૪૭ સુધીમાં પૂર્ણ થશે? ૨૦૪૭ કોણ જોશે? ખેડૂતોના હાથમાં શું આવ્યું છે?’
ADVERTISEMENT
ગુજરાત-મુંબઈ બુલેટ ટ્રેન શરૂ થવાની છે એની ટીકા કરતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘મુંબઈનો માણસ ગુજરાત જઈને શું કરશે? BJP ૨૦૪૭ના વર્ષ સુધી ટકી શકશે નહીં, એ તો ફક્ત દેવાના ડુંગર ઊભા કરી રહી છે. હું બાળાસાહેબ ઠાકરે સ્મારકનો પ્રમુખ છું. કોઈ ભંડોળ નથી અને તેઓ મને કહી રહ્યા છે કે એ કેટલા સમયમાં પૂરું થશે.’
૩૦૦ કરોડ વૃક્ષો વાવવા માટે જમીન ક્યાં છે?
રાજ્ય સરકારે ૩૦૦ કરોડ વૃક્ષ રોપવાનો પ્લાન બનાવ્યો છે એ બાબતે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બનાવવા માગો છો ત્યારે તમે લોકોને કાઢી મૂકો છો, વૃક્ષોની છટણી કરો છો તો પછી આ ૩૦૦ કરોડ વૃક્ષો વાવવા માટે જમીન ક્યાંથી મેળવશો?’
સામસામે આવી ગયા રથી–મહારથી

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ગઈ કાલે પત્રકાર-પરિષદ સંબોધવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સામે અત્યારના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આવી ગયા હતા. બન્ને એકબીજાને સ્માઇલ આપીને એક મિનિટ વાતચીત કર્યા પછી છૂટા પડ્યા હતા. જોકે એ પછી તરત જ ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામસામે આવી ગયા હતા. જોકે બન્નેએ એકમેક સાથે વાત કરવાનું ટાળ્યું હતું, પણ જાણે એકબીજાને ઓળખતા જ ન હોય એ રીતે લગોલગ હોવા છતાં સામેથી પસાર થઈ ગયા હતા.
