સારવારનો ખર્ચ પહોંચી વળાય એમ નહોતો એટલે દીકરો માને ચોથા માળની અગાસીમાં લઈ ગયો હતો અને ત્યાંથી ધક્કો મારીને વૃદ્ધ અને અસહાય માને નીચે ફેંકી દીધી હતી
વેન્કટેશ નામના ૪૨ વર્ષના માણસે તેની ૭૫ વર્ષની લકવાગ્રસ્ત મા સવિત્રામ્માને ચોથા માળની અગાસીમાંથી ધક્કો આપીને મારી નાખી
બૅન્ગલોરમાં વેન્કટેશ નામના ૪૨ વર્ષના માણસે તેની ૭૫ વર્ષની લકવાગ્રસ્ત મા સવિત્રામ્માને ચોથા માળની અગાસીમાંથી ધક્કો આપીને મારી નાખી હતી. વાત એમ હતી કે સવિત્રામ્મા ઘણા સમયથી લકવાગ્રસ્ત હોવાથી પથારીવશ હતાં. તેમની સારવારનો ખર્ચ પહોંચી વળાય એમ નહોતો એટલે દીકરો માને ચોથા માળની અગાસીમાં લઈ ગયો હતો અને ત્યાંથી ધક્કો મારીને વૃદ્ધ અને અસહાય માને નીચે ફેંકી દીધી હતી. વેન્કટેશ એક કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતો હતો. જે બિલ્ડિંગની અગાસીમાંથી માને ફેંકી દીધી ત્યાં બીજા માળે તે ભાડેથી રહેતો હતો. સવિત્રામ્મા છેલ્લાં ચાર-પાંચ વર્ષથી લકવાને કારણે સાવ જ પથારીવશ અવસ્થામાં હતાં. તેઓ નીચે જમીન પર પટકાતાં જ મૃત્યુ પામ્યાં હતાં. ઘટનાસ્થળે જ્યારે પોલીસ આવી પહોંચી ત્યારે પહેલાં તો દીકરાએ મા કઈ રીતે નીચે પડી એની ખબર નથી એવું રટણ કર્યું, પરંતુ પાછળથી કબૂલી લીધું હતું કે તેણે જ માને ફેંકી દીધી હતી. આરોપીની કબૂલાત પછી પોલીસે તેને પકડી લીધો છે અને હવે તેની માનસિક અવસ્થાની તપાસ કરાવવામાં આવશે.
