મેરઠની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સ્ટાફે બે વર્ષના બાળક સાથે કરેલી લાપરવાહી ગામડાંની હૉસ્પિટલોનાં સ્ટાન્ડર્ડ્સ બાબતે સવાલ ઉઠાવે છે
મેરઠમાં રહેતા જસપિંદર સિંહના બે વર્ષના દીકરા મનરાજને ઘરમાં રમતાં-રમતાં આંખ પાસે ખૂબ ઊંડો ઘા થયો હતો
મેરઠની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સ્ટાફે બે વર્ષના બાળક સાથે કરેલી લાપરવાહી ગામડાંની હૉસ્પિટલોનાં સ્ટાન્ડર્ડ્સ બાબતે સવાલ ઉઠાવે છે. મેરઠમાં રહેતા જસપિંદર સિંહના બે વર્ષના દીકરા મનરાજને ઘરમાં રમતાં-રમતાં આંખ પાસે ખૂબ ઊંડો ઘા થયો હતો. પરિવારજનો ગભરાઈને નજીકમાં આવેલી ભાગ્યશ્રી હૉસ્પિટલ પહોંચ્યા, પણ ત્યાંના સ્ટાફે જે કર્યું એનાથી તેની પીડા ઑર વધી ગઈ. પરિવારજનોના કહેવા મુજબ હૉસ્પિટલના ડૉક્ટરોએ ઘા પર ટાંકા લગાવવાની ના પાડી દીધી. ડૉક્ટરનું કહેવું હતું કે આ ઉંમરે ટાંકા લેવાથી બાળકના ચહેરા પર નિશાન રહી જશે એટલે માત્ર પાંચ રૂપિયાનું ફેવીક્વિક લઈને આવો અને ઘા પર ચીપકાવી દઈશું. પરિવારજનો ફેવીક્વિક લઈ આવ્યા અને સ્ટાફે ઘા પર લગાવી દીધું. એ પછી આખી રાત બાળક પીડાથી ચિલ્લાતું રહ્યું એટલે બીજા દિવસે પરિવારજનો દીકરાને બીજી હૉસ્પિટલમાં લઈ ગયા. સવારે ગમ એકદમ કડક થઈ ગયું એટલે એને ઉખેડવાનું મુશ્કેલ બની ગયું. એ ગમ કાઢતાં ડૉક્ટરોને ૩ કલાક લાગ્યા અને એ પછી એ ઘાને ભરવા માટે ૪ ટાંકા લેવા પડ્યા હતા.


