શ્રાદ્ધ માટેના ભોજમાં બનાવેલી દાળમાંથી નીકળી મરેલી ગરોળી, એ દાળ ખાઈને ૧૫૦ લોકો બીમાર પડ્યા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિહારના સુપૌલ જિલ્લામાં માનગંજમાં એક શ્રાદ્ધભોજમાં ખાવાનું ખાઈને ૧૫૦ લોકો માંદા પડ્યા હતા. છોટકેલાલ યાદવ નામના ભાઈની પત્નીના શ્રાદ્ધ નિમિત્તે તેમણે લગભગ ગામના ૫૦૦ લોકોને જમવાનું આમંત્રણ આપ્યું હતું. લોકો મરનાર વ્યક્તિના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને ભોજન કરીને રવાના થઈ રહ્યા હતા, પરંતુ એ પછી થોડા જ કલાકોમાં કેટલાક વડીલોને ચક્કર આવવા લાગ્યાં અને ગભરામણ થવાની સાથે ઊલટીઓ થવા લાગી હતી. ખાવામાં કંઈક ગરબડ તો નથીને એની તપાસ કરતાં ખબર પડી હતી કે અડધો જમણવાર પૂરો થયો એ પછી દાળના મોટા તપેલામાં એક ગરોળી પડી ગઈ હતી અને ગરમ દાળમાં એ રંધાઈને ઓગળી રહી હતી. આવી દાળ જેમણે પણ ખાધી તેમને તકલીફ થઈ હતી. લગભગ ૧૫૦ જણની તબિયત બગડી ગઈ હતી અને ૧૦૦ જેટલા લોકોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે રાહતની વાત એ છે કે થોડા જ કલાકોમાં તેમની હાલતમાં સુધારો થઈ ગયો હતો અને તમામ દરદીઓ હવે ખતરાની સ્થિતિથી બહાર છે.
