ઉત્તર પ્રદેશમાં ગુમ થયેલા વ્યક્તિને મૃત માની પરિવારજનોએ અંતિમ સંસ્કાર અને શુદ્ધિસંસ્કાર પણ કરી દીધા. પરંતુ વિધિ દરમિયાન જ તે જીવતો ઘરે પરત ફરતાં પરિવાર અને પોલીસ બંને આશ્ચર્યચકિત થઈ ગયા.
અંતિમ સંસ્કાર થઈ ગયા પછી જેના શુદ્ધિસંસ્કાર ચાલી રહ્યા હતા એ ભાઈ તો જીવતા નીકળ્યા
ઉત્તર પ્રદેશના સેદપુર ગામમાં એક પરિવારમાં કમલ નામના ભાઈના મૃત્યુ બાદના શુદ્ધિસંસ્કાર ચાલી રહ્યા હતા ત્યારે કમલ સાક્ષાત ત્યાં હાજર થતાં સહુ ડઘાઈ ગયા હતા. મૃત માણસની ક્રિયાઓમાં એ માણસ હાજર થાય તો ભલભલા હતપ્રભ થઈ જાય. જોકે નવાઈની વાત એ હતી કે પરિવારે તો તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હતા. હવે સવાલ એ ખડો થયો કે જો કમલ જીવતો છે તો જેના અંતિમ સંસ્કાર કર્યા એ કોણ હતું?
વાત એમ હતી કે દશરથ સિંહે ૨૫ જૂનથી પોતાનો ભાઈ કમલ ખોવાઈ ગયો છે એવી ફરિયાદ નોંધાવેલી. તેનો મોબાઇલ પણ સ્વિચ્ડ-ઑફ આવતો હતો અને ક્યાંય કોઈ ભાળ મળી નહોતી રહી. એવામાં ૧૮ જુલાઈએ ભીખેપુર ગામના હાઇવેના કિનારે જર્જરિત હોટેલના મલબામાંથી બકરી ચરાવનારાઓને એક સડી ગયેલી લાશ જોવા મળી હતી. પોલીસે એ શબને કબજામાં લઈને એની ઓળખ કરવાની કોશિશ કરી પણ કંઈ ભાળ ન મળતાં એને સાચવી રાખી હતી. શબ સડી ગયું હતું અને શરીરમાં કીડા ખદબદતા હતા અને ચહેરો અડધો ચગદાઈ ગયો હોવાથી માત્ર કપડાં પરથી જ ઓળખ થઈ શકે એમ હતી.
પોલીસે જ્યારે દશરથને આ લાશ બતાવી તો તેણે કપડાંના રંગ અને હાથમાંના બ્રેસલેટ પરથી એ કમલ હોવાનું કહ્યું હતું. પોલીસે કાર્યવાહી કરીને શબ પરિવારને સોંપી દીધું હતું. લોકોને લાગતું હતું કે કમલની પત્નીએ જ પતિનું કામ તમામ કરી નાખ્યું છે. એમ છતાં પરિવારે અગ્નિસંસ્કાર કરી લીધા અને ત્રણ દિવસ પછી શુદ્ધિસંસ્કારની વિધિ કરી હતી. જોકે આ વિધિ ચાલી રહી હતી ત્યારે કમલ જીવતોજાગતો અને સાજોસમો ઘરે પહોંચી ગયો હતો. કમલ જીવતો હોવાની વાત ખબર પડતાં પત્નીનો જીવ હેઠો બેઠો હતો, પરંતુ પોલીસ દોડી આવી હતી. કમલે કહ્યું હતું કે પત્ની સાથે ઝઘડો થયો હતો એટલે નારાજ થઈને તે જતો રહ્યો હતો. જેના અગ્સિસંસ્કાર થઈ ગયા એ શબ કોનું હતું એ સવાલ હજીયે ઊભો જ છે.
