ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે.
આઈપીએલ ટ્રોફી - તસવીર સૌજન્ય- મિડ-ડે
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ૧૯ સપ્ટેમ્બરે શરૂ કરીને ૧૫ ઑક્ટોબરે દશેરાના દિવસે સમાપ્ત કરવાની યોજના બનાવી છે. જોકે આઇસીસીને આ શેડ્યુલ સામે વાંધો છે. આઇસીસી ૧૮ ઑક્ટોબરથી ટી૨૦ વર્લ્ડ કપ શરૂ કરવાનું વિચારી રહી છે આથી માત્ર ત્રણ જ દિવસ પહેલાં આઇપીએલ પૂરી થાય એ તેમને મંજૂર નથી.
એક સ્પોર્ટ્સ વેબસાઇટમાં છપાયેલા સમાચાર પ્રમાણે આઇસીસીનાં સૂત્રોએ તેમને જણાવ્યું હતું કે ‘ટી૨૦ વર્લ્ડ કપ ૧૮ ઑક્ટોબરથી શરૂ થવાનો છે તો આવી સ્થિતિમાં આઇપીએલ ૧૫ ઑક્ટોબર સુધી કેવી રીતે ચાલી શકે. આઇસીસી આને માટે મંજૂરી નહીં આપે. એ ઉપરાંત ટી૨૦ વર્લ્ડ કપમાં રમનાર ટીમ તેમના ખેલાડીઓને પણ આઇપીએલમાં રમવાની પરવાનગી કેવી રીતે આપશે? અમને લાગે છે કે ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલને ૧૦ ઑક્ટોબર સુધીમાં પૂરી કરી નાખવી જોઈએ.’
ADVERTISEMENT
આમ હવે આઇસીસીની નારાજગીના સમાચારથી ભારતીય ક્રિકેટ બોર્ડની મુશ્કેલી વધી ગઈ છે. હવે એ રસપ્રદ બની રહેશે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ફરી આઇપીએલનું શેડ્યુલ બદલે છે કે પછી આઇસીસી આઇપીએલ માટે ટી૨૦ વર્લ્ડ કપ થોડો મોડો શરૂ કરે છે.