કુલદીપ યાદવ અને વંશિકા બાળપણથી એકબીજાને ઓળખે છે
ગયા વર્ષે ચોથી જૂને લખનઉમાં બન્નેએ સગાઈ કરી હતી
રવિવારે T20 વર્લ્ડ કપ જીતવાના કારનામા કર્યા બાદ કુલદીપ યાદવ હવે જીવનની નવી ઇનિંગ્સની તૈયારીમાં લાગી ગયો છે. શનિવારે કુલદીપ યાદવ અને તેની બાળપણની મિત્ર વંશિકાનાં લગ્ન મસૂરીના એક લકઝરી રિસૉર્ટમાં યોજાશે. લગ્નમાં ફક્ત નજીકના સંબંધીઓ અને બન્ને પરિવારોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પણ કુલદીપના પિતા આમંત્રણ આપી આવ્યા છે. શુક્રવારે મેંદી અને સંગીત તેમ જ શનિવારે લગ્ન બાદ મંગળવારે લખનઉમાં એક શાનદાર રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. રિસેપ્શનમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સહિત બૉલીવુડ સ્ટાર અને કેટલાક નેતાઓ પણ નવદંપતીને આશીર્વાદ અને શુભેચ્છા આપવા આવી શકે છે.
વંશિકા LICમાં નોકરી કરે છે. કુલદીપ યાદવ અને વંશિકા બાળપણથી એકબીજાને ઓળખે છે. ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી અને ગયા વર્ષે ચોથી જૂને લખનઉમાં બન્નેએ સગાઈ કરી હતી. ગયા વર્ષના અંતમાં બન્નેનાં લગ્ન યોજાવાનાં હતાં, પણ કુલદીપના ટીમ ઇન્ડિયા સાથેના વ્યસ્ત શેડ્યુલને લીધે પ્લાન પોસ્ટપૉન કરવો પડ્યો હતો.
